April 30, 2024

દશરથનંદનના માથે 11 કરોડનો ડાયમંડનો મુગટ, સુરતીલાલાએ ડિઝાઇન કર્યો

અયોધ્યાઃ ડાયમંડ સિટી સુરતમાં અનેક એવી જાણીતી ચીજ-વસ્તુ બને છે. રામનોમના દિવસે ભાવિકોની એક અનોખી ભક્તિ જોવા મળી છે. સુરતની કંપની ગ્રીનલેબ ડાયમંડ કંપનીએ પ્રભુ શ્રી રામને એક સરસ મુગટ તૈયાર કર્યો છે. જેમાં 6 કિલો સોનું અને 250 કેરેટની રૂબીનો ઉપયોગ થયો છે. આ સિવાય માણેક ને મોતી તો ખરા જ. આ મુગટની કિંમત 11 કરોડ 28 લાખ રૂપિયા છે. વસંત પંચમીના પવિત્ર દિવસે આ મુગટ પ્રભુને અર્પણ કરાયો હતો. જેને આજે રામનોમના દિવસે પ્રભુને પહેરાવવામાં આવ્યો છે.

કેવું રીતે થયું સૂર્યતિલક?
રામ મંદિરના નિર્માણ પછી શ્રી રામની આ પ્રથમ રામનવમી છે. આ દરમિયાન ભગવાન રામની મૂર્તિ પર સૂર્યના કિરણોથી તિલક થયું છે. જેમાં બરાબર બપોરે 12.16 કલાકે સૂર્યના કિરણો પાંચ મિનિટ માટે રામલલાની મૂર્તિના કપાળ પર પડ્યા છે. કિરણો લેન્સ અને અરીસા સાથે અથડાઈને રામલલાના માથા સુધી પહોંચ્યા છે. વૈજ્ઞાનિકોની ટીમે પહેલાથી જ આ અંગે સંપૂર્ણ વ્યવસ્થા કરી નાખી છે. ભગવાન શ્રીરામની મૂર્તિ પર સૂર્ય કિરણથી બનતા તિલકના દર્શન ખૂબ જ અદ્ભુત રહ્યા. નોંધની છે કે ભગવાન શ્રી રામના સૂર્ય તિલક દરમિયાન ભક્તોને રામ મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

સૂર્યતિલકની અદ્ભુત ક્ષણ મોદીએ જોઈ
આજે રામ નવમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ વખતની રામનવમી ખૂબ જ ખાસ છે કારણ કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ શ્રી રામની આ પહેલી રામનવમી છે. આ દરમિયાન રામલલાની વિશેષ પૂજા કરવામાં આવી હતી. ભગવાન શ્રી રામને આજે સૂર્યકિરણોથી તિલક કરવામાં આવ્યો છે. બપોરના 12.16 મિનિટે સૂર્યના કિરણો ભગવાનના લલાટ પર પડ્યા હતા અને એક તેજસ્વી તિલક સાથે પ્રભૂ શ્રી રામની મૂર્તિ જળહળી ઊઠી છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઓનલાઈન ભગવાન રામના લલાટ પર થયેલ સૂર્ય તિલકને જોયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​આસામના નલબાડીની સભા બાદ અયોધ્યામાં રામલલાને સૂર્ય તિલકના અદ્ભુત અને અપ્રતિમ ક્ષણને તેમના ટેબલેટ પર જોઈ હતી. જે બાદ પીએમ મોદીએ તેને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર ટ્વીટ પણ કર્યું છે. જેમાં તેઓ આ અદ્ભુત ક્ષણને જોતા હતા. આ ટ્વીટના કેપ્શનમાં તેમણે લખ્યું,‘આ સૂર્ય તિલક, વિકસિત ભારતના દરેક સંકલ્પને પોતાની દિવ્ય ઉર્જાથી આ પ્રમાણે જ પ્રકાશિત કરશે.’

દિવ્ય અભિષેક કરાયો
રામ નવમી નિમિત્તે અયોધ્યાના રામ મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી હતી. વર્ષો બાદ પ્રથમ વખત અયોધ્યામાં રામ મંદિરમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે “આજે શ્રી રામ નવમીના શુભ દિવસે શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન શ્રી રામને સરકારનો દિવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો”.