May 3, 2024

પરીક્ષાને લગતા મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા હેલ્પલાઇન દ્વારા સરકારના પ્રયાસ

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: પરીક્ષાના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે જેમાં પરિક્ષાર્થીઓના મનમાં ફેલઇ થવાનો ભય જોવા મળતો હોય છે. પરીક્ષાનો માહોલ શરૂ થતાં જ વિદ્યાર્થીઓ તણાવ અનુભવે છે. ઘણા વિદ્યાર્થીઓને તો તણાવ એટલે સુઘી વધી જાય છે કે વિદ્યાર્થીઓ આત્મહત્યા સુઘીનુ પગલુ ભરી લેતા હોય છે. તેવા સમયે અમદાવાદ જીલ્લા શિક્ષણાધીકારી ઉપરાંત રાજ્ય સરકરા દ્વારા તણાવ અનુભવતા વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. ધોરણ ૧૦ અને ૧૨ની બૉર્ડ પરીક્ષા પગલે 8 ફેબ્રુઆરીથી હેલ્પલાઈન શરૂ કરવામાં આવી હતી. સરકાર દ્વારા ટૉલ ફ્રી નંબર ‘14416’ અને ‘18002335500’ પરથી વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન મળશે. ઉલ્લેખનીય છે કે, આગામી 11 માર્ચથી રાજ્યમાં ધોરણ 10 અને 12ની બૉર્ડની પરીક્ષા શરૂ થઇ રહી છે.માહિતી અનુસાર હેલ્પલાઇનમાં રોજના 100થી વધુ વિદ્યાર્થીઓના કોલ કરી રહ્યા છે.

નોંધનીય છે કે ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા ટાણે વિદ્યાર્થીઓ પરીક્ષાનો ડર અને દબાણને કારણે માનસિક તણાવ અનુભવતા હોય છે તે હકીકતને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેર ડીઈઓ ઓફિસે શહેરની એક હજારથી વધુ સ્કૂલોના વિદ્યાર્થીઓની માનસિક તણાવથી લઇને અભ્યાસને લગતી સમસ્યાના ઉકેલ માટે ફ્રી ટેલિફોન હેલ્પલાઈન શરૂ કરી છે. અમદાવાદની તેમજ રાજ્યની તમામ સ્કુલોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પોતાની મુંઝવણ ફક્ત એક કોલ કરીને દુર કરી શકે તે માટે ડીઇઓ દ્વારા સારથી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પણ ટેલી માનસ હેલ્પલાઇન શરૂ કરાઇ છે જેમા રોજના 100 જેટલા ફોન પર વિદ્યાર્થીઓએ તણાવ દુર કરવા માટે મદદ માંગી છે.

પરિક્ષા સમયે વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નો
હું પરિક્ષામા ફેઇલ થઇ જઇશ તો?
વિદ્યાર્થીઓને વાંચેલુ યાદ ન રહેવુ
ગણીત અને વિજ્ઞાનના પેપરમાં કેવી રીતે પાસ થઇ શકાય?
ઓછા માર્કે પાસ થઇશ તો ક્યા એડમિશન મળશે?
રાત્રીના સમયે ઉંધ ન આવવી
વારંવાર બેભાન થઇ જવુ
વાલી તરફથી વધુ ટકા લાવવા અંગેનુ દબાણ
પરિક્ષાના સમયે વિદ્યાર્થીઓમાં વ્યસનનુ પ્રમાણ દુર કરવા

પરિક્ષાની મુંઝવણને લઇને ડો. દિપાલી ભટ્ટ, મનોચિકીત્સકએ કહ્યું કે પરીક્ષા સમયે વિદ્યાર્થી વધુ પડતું વાંચન અને મિત્ર જેનું વાંચન કરતો હોય છે તે વાંચવાની હિંમત વિદ્યાર્થીઓ કરતા હોય છે પરંતુ તેમ ન કરવું જોઈએ, પરંતુ વિદ્યાથીઓ આખા વર્ષમાં જે વાંચન કર્યું હોય તેનું રીવિઝન કરવું જોઈએ. આ ઉપરાંત પૂરતી ઊંઘ લેવી જોઈએ. સાથે સાથે દોઢ કલાકના વાંચન બાદ 10 મિનિટનો બ્રેક લેવા પણ ડોકટર ભલામણ કરી રહ્યા છે. જો આમ કરવામા આવે તો ક્યાંકને ક્યાંક વિદ્યાર્થીઓમાં તણાવ ઘટાડી શકાય છે. વાલીઓએ ખાસ કરીને વિદ્યાર્થીઓને વધુ પડતા વાચન અને ટકા લાવવા માટે દબાણ ન કરવું જોઇએ. જો આમ કરવામા આવે તો વિદ્યાર્થીઓમાં તણાવ ઘટવાને બદલે વધી જાય છે અને કેટલાક કિસ્સાઓમાં વિદ્યાર્થીઓ આત્મહત્યા સુધીનું પગલું ભરતા પણ અચકાતા નથી.

આ હેલ્પલાઇન પર પરિક્ષા સમયે જ નહી પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને મદદ કરવામા આવે છે. સરકારી હેલ્પલાઇનમાં વાર્ષિક સાત હજારથી વધુ લોકોએ કાઉન્સીલીંગ માટે ફોન કરીને મદદ માગી છે ત્યારે આ હેલ્પલાઇન વિદ્યાર્થીઓ માટે ઉપયોગી નીવડી છે.