September 19, 2024

‘પાકિસ્તાન સાથે હવે કોઈ ચર્ચા નહીં’, SCO સમિટ માટે PMના આમંત્રણને લઈને બોલ્યા વિદેશ મંત્રી

S. Jaishankar: વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે દિલ્હીમાં એક બૂક લોન્ચ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને માલદીવ સાથે જોડાયેલા મુદ્દાઓ પર વાત કરી. તેણે કહ્યું કે પડોશીઓ હંમેશા એક કોયડા સમાન હોય છે. મને કહો કે કયા દેશને તેના પડોશીઓ સાથે પડકારો નથી હોતા? તો, પાકિસ્તાન સાથેની વાતચીત અને તેની સાથેના સંબંધો પર વિદેશ મંત્રીએ કહ્યું કે પાડોશી દેશ પાકિસ્તાન સાથે ચર્ચાનો દૌર ખતમ થઈ ગયો હોય તો તેની સાથે આપણે કેવા સંબંધોની કલ્પના કરી શકીએ.

પાકિસ્તાને પીએમ મોદીને મોકલ્યું આમંત્રણ
જણાવી દઈએ કે, પાકિસ્તાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓક્ટોબરમાં ઈસ્લામાબાદમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટની બેઠક માટે આમંત્રણ આપ્યું છે. એક સ્થાનિક અખબાર અનુસાર, વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે વિકલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે 15-16 ઓક્ટોબરે યોજાનારી બેઠકમાં ભાગ લેવા માટે દેશોના વડાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

કલમ 370 નાબૂદ કરવામાં આવી છેઃ વિદેશ મંત્રી
પાકિસ્તાન સાથેના સંબંધો પર તેમણે વધુમાં કહ્યું કે દરેક એક્શનનું રીએક્શન હોય જ છે. જ્યાં સુધી જમ્મુ અને કાશ્મીરની વાત છે તો કલમ 370 નાબૂદ કરી દેવામાં આવી છે. એવામાં, આપણે પાકિસ્તાન સાથે કેવા સંબંધ વિશે વિચારવું જોઈએ? તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત હવે આતંકવાદ અને ચર્ચાને એક સાથે નથી જોઈ શક્યતા અને જો પાકિસ્તાન ભારત સાથે વાટાઘાટો કરવા ઈચ્છે છે તો તેણે તેની નીતિ પર પુનર્વિચાર કરવો પડશે.

આ પણ વાંચો: ‘આપણી ફિનટેક વિવિધતા જોઈને વિશ્વ ચોંકી ગયું’, મુંબઇમાં બોલ્યા PM મોદી

આપણે ચર્ચાના અનેક પ્રયાસો કર્યા
વિદેશ મંત્રીનું આ નિવેદન ભારત-પાકિસ્તાનના સંબંધોમાં તણાવ દર્શાવે છે. તેમણે કહ્યું, ‘અમે ભૂતકાળમાં પાકિસ્તાન સાથે વાતચીત કરવાના ઘણા પ્રયાસો કર્યા હતા, પરંતુ આતંકવાદના મુદ્દે તેમની બેવડી નીતિના કારણે તે શક્ય ન બન્યું. હવે સમય આવી ગયો છે કે પાકિસ્તાને સમજવું જોઈએ કે વાતચીત માટે તેણે આતંકવાદને સંપૂર્ણપણે ખતમ કરવો પડશે.