May 20, 2024

રાજ્યમાં વિધાનસભા પેટાચૂંટણી માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ

મલ્હાર વોરા, ગાંધીનગર: લોકસભા સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભા પેટાચૂંટણી માટે આજથી નામાંકન પત્રો ભરવાનું શરૂ થયું છે. રાજ્યમાં 26 લોકસભા મતવિભાગની સામાન્ય ચૂંટણી અને 05 વિધાનસભા મતવિભાગની પેટાચૂંટણી અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 27 જનરલ ઓબ્ઝર્વર, 28 એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર અને 14 પોલીસ ઓબ્ઝર્વરની નિમણૂંક કેન્દ્રીય ચુંટણી પચ દ્રારા કરવામાં આવી છે.

આ પણ વાંચો: કાઠી ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને આપી માફી, કહ્યું- પીએમ મોદી સામે તમામ વાતો ગૌણ

ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત ત્રીજા તબક્કામાં યોજાનાર ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આવેલી લોકસભાની 26 બેઠકો માટેની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની 05 બેઠકો માટેની પેટાચૂંટણી માટે આજથી ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઈ જશે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સમાવિષ્ટ 26 લોકસભા મતવિભાગો તથા વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત અને વાઘોડિયા એમ કુલ 05 વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારી દ્વારા નમુના નં-01માં ચૂંટણી નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેથી આગામી 19 એપ્રિલ સુધી જાહેર રજા સિવાયના દિવસોમાં સવારે 11 વાગ્યાથી બપોરના 03 વાગ્યા દરમિયાન ઉમેદવારી પત્રો મળી શકશે તથા ભરેલા ઉમેદવારી પત્રો રજૂ કરી શકાશે. ઉમેદવારી પત્રોની ચકાસણી 20 એપ્રિલના રોજ સવારે 11 કલાકે હાથ ધરવામાં આવશે. માન્ય થયેલા ઉમેદવાર ઈચ્છે તો 22 એપ્રિલના રોજ બપોરે 03 વાગ્યા સુધીમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકશે.

મુખ્ય ચુંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્યના તમામ જિલ્લાઓમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં ઇવીએમના પ્રથમ રેન્ડમાઇઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ઇવીએમ મશીનોની ફાળવણી જિલ્લા કક્ષાએથી એસેમ્બ્લી સેગ્મેન્ટ કક્ષાએ કરવામાં આવી છે. હરીફ ઉમેદવારોની યાદી આખરી થયા બાદ હરીફ ઉમેદવારો કે તેમના પ્રતિનિધિઓ તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા નીમવામાં આવેલ જનરલ ઓબ્ઝર્વરની હાજરીમાં ઇવીએમના બીજા રેન્ડમાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.

બીજી તરફ ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ દ્વારા મતદાન કરવા માટે પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. આ અંગે ચૂંટણી પંચની સૂચના અનુસાર ટપાલ દ્વારા મતદાન કરવા માટેની સુવિધાની જગ્યાએ તેઓને તાલીમના સ્થળે જ મતદાન માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ચૂંટણી ફરજ પરના કોઈ કર્મચારી મતદાનથી વંચિત ના રહી જાય તે માટે પોલીસ કર્મચારીઓ, ડ્રાઇવર્સ, કન્ડક્ટર્સ સહિત ચૂંટણી ફરજ પરના આશરે 4 લાખથી વધુ કર્મચારીઓને ટપાલ મત પત્ર માટેના ફોર્મ-12 આપવાની કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો: લોકસભાની ચૂંટણી માટે આજથી ઉમેદવારી પત્રક ભરવાનું શરૂ

ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં 27 જનરલ ઓબ્ઝર્વર, 28 એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર્સ અને 14 પોલીસ ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી છે. ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં કાર્યરત 756 ફ્લાઈંગ સ્કવોર્ડ્સ દ્વારા અત્યાર સુધીમાં રૂ.6.54 કરોડ રોકડ, રૂ. 11.73 કરોડની કિંમતનો 3.84 લાખ લીટર જેટલો દારૂ, રૂ. 27.62 કરોડની કિંમતનું 45.37 કિલો સોનું અને ચાંદી, રૂ.1.73 કરોડની કિંમતના 564.49 કિલો પ્રતિબંધિત નશાકારક પદાર્થો તથા મોટરકાર, મોટર સાઈકલ, સીગારેટ, લાઈટર અને અખાદ્ય ગોળ સહિતની રૂ.39.20 કરોડની અન્ય વસ્તુઓ મળી કુલ રૂ.86.82 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થવા સાથે રાજ્યભરમાં 1,203 સ્ટેટીક સર્વેલન્સ ટીમ કાર્યરત થઈ ગઈ છે.