September 8, 2024

ગાંધીધામ ખાતે મળી જીલ્લા કોંગ્રેસ સમિતિની બેઠક, 8 ઠરાવો પસાર કરાયા

નીતિન ગરવા, ભુજ: કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે આજે કચ્છ જીલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી મિટિંગ યોજાઇ હતી. આ બેઠકમાં કોંગ્રેસ પક્ષના ગુજરાત રાજ્ય પ્રભારી મુકુલ વાસનિક પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વિસ્તૃત કારોબારી બેઠકમાં જુદા જુદા 8 જેટલા ઠરાવો પર ચર્ચા કરવામાં આવી અને ચર્ચા બાદ પસાર કરવામાં આવ્યા હતા.

કચ્છ જીલ્લા કોંગ્રેસ સમિતીની વિસ્તૃત કારોબારી ગુજરાત રાજયના પ્રભારી મુકુલ વાસનીક, સહપ્રભારી બી. એમ. સંદિપ તથા કચ્છ જીલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા તેમજ કચ્છ જીલ્લાના પ્રભારી નુશરત પંજા અધ્યક્ષતામાં યોજવવામાં આવી જેમા કચ્છને લગતા વિવિધ પ્રશ્નોના મુદે અગામી લડત કાર્યકમો માટે ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારી બેઠકમાં કચ્છ જીલ્લા કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા.

 

મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ પરિણામને જોઇને ભારતીય જનતા પાર્ટીને ઝટકો લાગ્યો હતો. ભારતીય જનતા પાર્ટી પોતાના નાપાક ઈરાદાઓને લઈને દેશના સંવિધાનને બદલવા માટે નીકળી હતી. ભાજપે 400થી વધુ બેઠકો મળવાનો લક્ષ્ય રાખ્યો હતો. નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી માટે પોતાનો પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો પરંતુ કંઈ રીતે તેમને બેઠકો મળી છે તે પૂરી દુનિયા જાણે છે. બનારસમાં જો કોંગ્રેસે વધુ કમર કસી હોત તો નરેન્દ્ર મોદી પણ હારી જાત. ચૂંટણીના પરિણામ પૂરા દેશની સામે છે.

લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ, નવા પરિણામો આવ્યા, નવી સરકાર બની પાછલા દસ વર્ષ મોદી સરકાર હતી હવે NDA સરકાર બની છે. હવે ફરી પરિણામ બદલવા અને ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા માટે વિસ્તૃત કારોબારી સમિતીની બેઠકો કરવામાં આવી રહી છે. ગઈકાલે બનાસકાંઠામાં બેઠક હતી આજે કચ્છમાં છે અને સાંજે મોરબીમાં બેઠક કરવામાં આવશે. તમામ જીલ્લાઓમાં આવી બેઠકો કરવામાં આવશે. કોંગ્રેસના તમામ હોદ્દેદારો અને નાના મોટા કાર્યકર્તાઓ ભેગા મળીને કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા માટે કામ કરી રહ્યા છે.

ભારતીય જનતા પાર્ટીનું લક્ષ્ય માત્રને માત્ર ગમે તેમ કરીને સતા મેળવવાનો રહ્યો છે. ગુજરાત મોડલની વાતો નરેન્દ્ર મોદી વર્ષ 2014થી ઠેર ઠેર કરી રહ્યા છે. પરંતુ દુર્ભાગ્ય એ છે કે ગુજરાત એક પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા લોકોનો પ્રદેશ છે. અહીં અનેક ઘટનાઓ ઘટી છે પરંતુ લોકોને ન્યાય આજ સુધી નથી મળ્યું. ઉના ની ઘટના હોય, સુરતના તક્ષશિલા ની ઘટ હોય, વડોદરાની ઘટના હોય, રાજકોટની ઘટના હોય લે અમદાવાદની ઘટના હોય પરંતુ આજ દિવસ સુધી તેમને ન્યાય નથી મળ્યો. ત્યારે જે રીતે તમામ અસરગ્રસ્તોને રાહુલ ગાંધી મળ્યા છે અને મોહબતનો પૈગામ આપ્યો છે.

લોકસભામાં રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીની આંખોમાં આંખ નાંખીને તેમને લલકાર્યો છે અને જણાવી દીધું છે કે આવનારા સમયમાં ગુજરાતમાં ભાજપને ધ્વસ્ત કરવામાં આવશે. કચ્છ એ ભાજપનો ગઢ રહ્યો છે અને ખાસ કરીને કચ્છ કોંગ્રેસમુક્ત છે તમામ શાસન ભાજપ પાસે છે ત્યારે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં શું સ્ટ્રેટેજી રહેશે તે અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે તમામ પ્રકારની ચુંટણી માટે કોંગ્રેસ તૈયારી કરી રહ્યું છે અને આવી જ રીતે વિસ્તૃત કારોબારી બેઠકો કરી રહ્યું છે જેમાં આ બાબતોને ધ્યાનમાં લઈને જ ચર્ચા વિચારણા કરવામાં આવશે.