May 21, 2024

‘કોંગ્રેસ જાહેરમાં વિરોધ કરતું આવ્યું છે, રાતના અંધારામાં નહીં’: ઋત્વિજ જોષી

વડોદરા: લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ત્યારે તમામ પક્ષો જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે. આ વચ્ચે ગઈકાલથી વડોદરાના રાજકારણમાં ગરમાવો જોવી મળી રહ્યો છે. પહેલા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામુ આપ્યું. ત્યારબાદ ભાજપે તેમને મનાવી લીધા અને હવે વડોદરા શહેરમાં સાંસદ રંજન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટરો લગાવવાને લઇને વિવાદ વધી રહ્યો છે. જેને લઇને હવે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ નિવેદન આપ્યું છે.

મળતી માહિતી અનુસાર સંગમ વિસ્તારમાં સાંસદ રંજનબેન ભટ્ટ વિરૂદ્ધ બેનર લગાવવાને લઇને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ નિવેદન આપ્યું છે. ઋત્વિજ જોષીએ જણાવ્યું છે કે, હવે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. છેલ્લી બે ટર્મ દરમિયાન રંજનબેને આંખે ઉડીને વળગે તેવા વિકાસ કાર્યો કર્યા નથી. તેમણે વધુમાં કહ્યું છે કે, આજે પણ પ્રજા પ્રાથમિક સુવિધાથી વંચિત છે તેનું જ આ પરિણામ છે.

વધુમાં ઋત્વિજ જોષીએ કહ્યું કે, કોંગ્રેસ હંમેશા જાહેરમાં વિરોધ કરતું આવ્યું છે પણ રાતના અંધારામાં નહીં. રંજન બેન ભટ્ટના જે પોસ્ટરો લાગ્યા છે એ ભાજપનો આંતરિક ઝઘડો પણ હોઇ શકે. ઉલ્લેખનીય છે કે, રંજન ભટ્ટ છેલ્લી બે ટર્મથી સાંસદ રહ્યા છે અને તેમને આ વખતે ત્રીજી વખત ટિકિટ આપીને રિપિટ કરવામાં આવ્યા છે. ત્યારે તેમનો વિરોધ કરતા ઉમેદવારીને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે.

રંજન ભટ્ટે આ અંગે શું કહ્યું?
આ અંગે રંજનબેન ભટ્ટ કહે છે કે, ‘જેમણે મારા વિરુદ્ધમાં પોસ્ટર લગાવ્યા છે તે એક વ્યક્તિ જ છે. જેને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી. તે ભારતીય જનતા પાર્ટીનું નામ બદનામ કરી રહ્યા છે. આટલા દિવસથી નેગેટિવિટીથી કામ કરી રહ્યા હતા. છેલ્લા દસ વર્ષથી વડોદરાની સેવા કરી છે. પાર્ટીના સભ્યો અને કાર્યકરોએ પણ ખૂબ પ્રેમ આપ્યો છે. પાર્ટીએ ત્રીજીવાર મને રિપિટ કરી છે, ત્યારે વડોદરાના લોકો ખુશ છે, કાર્યકર્તાઓ ખુશ છે. મારી સાતેય વિધાનસભાના ધારાસભ્યો દરરોજ સંમેલન દ્વારા સ્વાગત-સન્માન કરે છે. આગામી દિવસોમાં અમે માઇક્રો પ્લાન કરીશું. છેલ્લા કેટલાય દિવસથી આ ચાલતું હતું, હું બોલતી નહોતી. ત્યારે હવે આ ચલાવી લેવાશે નહીં. વડોદરા અને ભાજપને બદનામ કરવાનો પ્રયાસ છે. પોલીસ પણ તેમની કામગીરી કરશે. કાર્યકર્તા અને અમે સાથે રહીને પ્રચાર કરીશું. વડોદરાની જનતા વચ્ચે જઈ રહ્યા છીએ. જે નેગેટિવિટી ફેલાવી રહ્યા છે, તે બહુ ખોટું કરી રહ્યા છે.’