October 19, 2024

બોમ્બની વધુ એક ધમકી… દિલ્હીથી લંડન જઈ રહેલી ફ્લાઈટને ફ્રેંકફર્ટમાં ડાયવર્ટ કરી

Delhi: બોમ્બની ધમકી બાદ દિલ્હીથી લંડન જતી વિસ્તારાની ફ્લાઈટને ફ્રેન્કફર્ટ ડાયવર્ટ કરવામાં આવી હતી. એરલાઇનના પ્રવક્તાએ આ જાણકારી આપી. તેણે જણાવ્યું કે 18 ઓક્ટોબરના રોજ દિલ્હીથી લંડન જતી વિસ્તારાની ફ્લાઈટ નંબર UK17ને સોશિયલ મીડિયા પર સુરક્ષા સંબંધી ધમકી મળી હતી. બોમ્બની ધમકી પછી તમામ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.

આ પછી સાવચેતીના ભાગ રૂપે પાઇલટોએ ફ્લાઇટને ફ્રેન્કફર્ટ તરફ વાળવાનો નિર્ણય કર્યો. ફ્લાઈટ ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર લેન્ડ થઈ ત્યારે તેની તપાસ કરવામાં આવી હતી પરંતુ તપાસમાં કંઈ મળ્યું ન હતું. સિક્યોરિટી ક્લિયરન્સ મળ્યા બાદ લગભગ અઢી કલાક પછી ફ્લાઈટ લંડન માટે ટેકઓફ થઈ હતી.

40થી વધુ ફ્લાઈટને ધમકીઓ મળી
ફ્લાઈટમાં બોમ્બની ધમકીનો આ પહેલો કિસ્સો નથી, છેલ્લા કેટલાક દિવસોમાં 40થી વધુ ફ્લાઈટને આવી ધમકી મળી છે. જો કે પાછળથી આ તમામ ખોટી સાબિત થઈ. તાજેતરમાં આ શુક્રવારે બેંગલુરુથી મુંબઈ જતી અકાસા એરની ફ્લાઈટ નંબર QP 1366ને બોમ્બની ધમકી મળી હતી. ધમકી બાદ તમામ મુસાફરોને પ્લેનમાંથી નીચે ઉતારવા પડ્યા હતા.

આ પણ વાંચો: જીંદગી અને મોત… બાબા સિદ્દીકીની હત્યા પર સલમાન ખાનના પિતા સલીમે શું કહ્યું?

એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ પર ખતરો
દુબઈથી જયપુર જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ નંબર IX-196ને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી. આ ધમકી બાદ પ્લેન રાત્રે 1.20 વાગ્યે જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. આ પછી સુરક્ષા દળોએ ફ્લાઈટની તપાસ કરી પરંતુ આ તપાસમાં કંઈ મળ્યું નહીં. આ વિમાનમાં 189 મુસાફરો સવાર હતા.

ગુનેગારોને ‘નો-ફ્લાય’ લિસ્ટમાં મૂકવામાં આવશે
નાગરિક ઉડ્ડયન મંત્રાલય ઉડ્ડયન કંપનીઓ દ્વારા બોમ્બની ખોટી ધમકીઓની ઘટનાઓને રોકવા માટે કડક નિયમો લાગુ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ અંતર્ગત ગુનેગારોને ‘નો-ફ્લાય’ લિસ્ટમાં મૂકી શકાય છે. તેનો હેતુ બેકાબૂ મુસાફરોને ઓળખવાનો અને તેમને પ્લેનમાં ચઢવા પર પ્રતિબંધ મૂકવાનો છે.