September 8, 2024

ગગનયાન મિશન પહેલા જ અંતરીક્ષમાં જશે ભારતનો એક ગગનયાત્રી, કેન્દ્રીય મંત્રીનો ખુલાસો

Gaganyaan Mission: ભારતના ગગનયાન મિશનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. હવે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું છે કે ગગનયાન મિશનના 4 ગગનયાત્રીઓમાંથી એકને ઓગસ્ટમાં આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (ISS) મોકલવામાં આવશે. ભારતના ગગનયાત્રીને ભારતીય સ્પેસ એજન્સી ISRO અને અમેરિકાની સ્પેસ એજન્સી NASA સાથે મળીને ઓગસ્ટમાં ISS મોકલશે.

ગગનયાન મિશનને લઈને લોકસભામાં પૂછાયો સવાલ
સંસદમાં ગુરુવારે, TMC સાંસદ સૌગત રોયે એક પ્રશ્ન પૂછ્યો હતો . જેમાં તેમણે લોકસભામાં ગગનયાન મિશન અંગે માહિતી માંગી હતી. આ પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ગગનયાન મિશનના ક્રૂના એક સભ્યને ISRO અને NASA વચ્ચેની સંયુક્ત કવાયતના ભાગરૂપે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોકલવામાં આવશે. આ મિશનમાં બંને સ્પેસ એજન્સીઓની સાથે એક ખાનગી કંપની Axiom Space પણ સામેલ છે. તાજેતરમાં જ ISRO એ સ્પેસ ફ્લાઇટ માટે Axiom Space સાથે કરાર કર્યો હતો.

ફેબ્રુઆરીમાં ગગનયાનના અંતરીક્ષયાત્રીઓની કરાઇ હતી જાહેરાત
ISRO-NASA અને Axiom Spaceના સંયુક્ત મિશનને ઓગસ્ટમાં લોન્ચ કરવામાં આવી શકે છે. ગગનયાત્રી અમેરિકાના ફ્લોરિડા ખાતે કેનેડી સ્પેસ સેન્ટરથી સ્પેસમાં જવા માટે ટેક ઓફ કરશે. ફેબ્રુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગગનયાન મિશન માટે 4 ગગનયાત્રીઓની જાહેરાત કરી હતી. ચારેય ગગનયાત્રી ભારતીય વાયુસેનાના ટોચના પાયલોટ છે. જેમાં ગ્રુપ કેપ્ટન બાલકૃષ્ણન નાયર, અજીત કૃષ્ણન, અંગદ પ્રતાપ અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લાનો સમાવેશ થાય છે. હવે આ ચારમાંથી એક ગગનયાત્રીને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલવા માટે પસંદ કરવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગગનયાન મિશન હેઠળ અવકાશમાં જઈ રહેલા ચાર અવકાશયાત્રીઓ બેંગ્લોરમાં ઈસરોની અવકાશયાત્રી તાલીમ સુવિધામાં તાલીમ લઈ રહ્યા છે અને તેઓએ તાલીમના ત્રણમાંથી બે સેમેસ્ટર પૂર્ણ કર્યા છે. ગગનયાન મિશન આવતા વર્ષે લોન્ચ થઈ શકે છે.