May 4, 2024

સોનાની દાણચોરીના કૌભાંડનો પર્દાફાશ, 5 આરોપીની ધરપકડ

Ahmedbad gold smuggling scam 5 accused arrested by police

સોનાની દાણચોરી કરતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

મિહિર સોની, અમદાવાદઃ સોનાની દાણચોરીના કૌભાંડનો ફરી એક વખત પર્દાફાશ થયો છે. ક્રાઇમ બ્રાંચે કેરિયર સહિત 5ની ધરપકડ કરી છે. દુબઈથી સોનુ લાવી અમદાવાદના સોનીને વેચી ડ્યુટી ફ્રી સોનુ ઘુસાડવામાં આવ્યું હતું. લિક્વિડ ફોર્મમાં સોનાની દાણચોરી કરતા હોવાનો ખુલાસો થયો છે. આ સાથે જ પહેલાં પણ ઘણી વખત ગેરકાયદે સોનુ લાવ્યા હોવાનો ખુલાસો થયો છે. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દુબઈથી સસ્તા ભાવે સોનુ ખરીદી લિક્વિડ ફોર્મમાં ટ્રાન્સફર કરી સોનાની દાણચોરીનો ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. ત્યારે આવાં જ એક કેરિયરની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. દુબઈ શારજાહથી 800 ગ્રામ સોનુ લઇને અમદાવાદ પહોંચેલા આશિષ કુકડિયાની પોલીસે ધરપકડ કરી છે. તો સાથે જ સોનુ મંગાવનાર અનંત શાહ અને તેના ત્રણ વોચરની પણ ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ કુલ 48.88 લાખના સોના સહિત કુલ 52.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સાથે જ સોનાની દાણચોરી મામલે સોની વેપારી અનંત શાહ, સોનાના કેરિયર તરીકે કામ કરનારા આશિષ કુકડીયા તથા વોચર કલ્યાણભાઈ પટેલ, નવઘણભાઈ ઠાકોર અને નિલેશ દેસાઈની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ રસ્તા વચ્ચે મહિલાને રોકતા પિયુષ ધાનાણીને ધડાધડ બે તમાચા ઝીંક્યા

સોનાની દાણચોરી કેરિયર આશિષ કુકડીયાની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, પોતે મૂળ જૂનાગઢનો રહેવાસી અને મિસ્ત્રી કામ કરે છે. આશિષ કુકડીયા દુબઈના રામજીભાઈ નામના સપ્લાયરના સંપર્કમાં આવ્યા હતા. વેપારી અનંત શાહના કહેવાથી કેરિયર તરીકે કામ કરવા જણાવ્યું હતું. જે સોનુ લઈને આવતા એરપોર્ટ બહાર જ પોલીસે તેને ઝડપી લીધો છે. જ્યારે અનંત શાહની પૂછપરછમાં સામે આવ્યું કે, તેણે અગાઉ 10થી 15 વખત દુબઈ સોનુ લેવા માટે કેરિયર તરીકે અલગ અલગ માણસો મોકલ્યા હતા. આ ઉપરાંત જ્યારે કેરિયર સોનુ લઈને આવે ત્યારે તેની સાથે ત્રણથી ચાર માણસો રાખતો હતો. જેથી કેરિયર સોનુ લઈને ભાગી ન જાય અથવા તો એરપોર્ટ પર કસ્ટમ, પોલીસ કે અન્ય કોઈ એજન્સીઓ તેને પકડી ન લે તેનું ધ્યાન રાખવા વોચમાં રાખતો હતો. પોલીસે અનંત શાહના ભાડુઆતી માણસો તરીકે રાખેલા કલ્યાણ પટેલ, નવઘણ ઠાકોર અને નિલેશ દેસાઈની પણ ધરપકડ કરી છે. અનંત શાહ આ માણસોને 5000 રૂપિયા આપી એરપોર્ટ પર વોચ રાખવા માટે સાથે લઈ આવતો હોવાનો ખુલાસો પણ થયો છે.

આ પણ વાંચોઃ જયશંકરનો જડબાતોડ જવાબ – UNએ ભારતની ચૂંટણીની ચિંતા કરવાની જરૂર નથી

પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, દુબઈ બેઠેલા રામજીભાઈ નામનો વ્યક્તિ કેરિયરને કેમિકલયુક્ત પેસ્ટ અને પાઉડરના સ્વરૂપમાં સોનું આપતો હતો. કેમિકલયુક્ત પેસ્ટ કે પાઉડર સ્વરૂપમાં આવેલું સોનું એરપોર્ટ કે અન્ય કોઈ જગ્યા પર ડિટેક્ટ થતું નથી. જેથી તેને મેડિકલના ઉપયોગમાં લેવાતી સર્જીકલ ટેપમાં વીંટાળી આંતરવસ્ત્રોમાં છુપાવી સોનાની દાણચોરી કરવામાં આવતી હતી. હાલમાં પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે, આરોપીઓની સાથે કસ્ટમના કોઈ અધિકારીની મિલી ભગત છે કે કેમ અને આ અગાઉ કેટલી વખત સોનાની દાણચોરી કરવામાં આવી છે. જેને લઇ તપાસ શરૂ કરી છે.