May 4, 2024

આરોપી શાહજહાં શેખની મુશ્કેલી વધી, CBIએ FIRમાં હત્યાના પ્રયાસની કલમ ઉમેરી

Sandeshkhali Violence Case: પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં થયેલી હિંસાની તપાસ સીબીઆઈના હાથમાં છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ પણ ધીરે ધીરે આરોપી શાહજહાં શેખ પર સકંજો કસવાનું શરૂ કરી દીધું છે. જેમાં સીબીઆઈ (CBI)એ હવે તૃણમૂલ કોંગ્રેસ (TMC)માંથી સસ્પેન્ડ કરાયેલા શાહજહાં વિરુદ્ધ નોંધાયેલી FIRમાં હત્યાના પ્રયાસની કલમ ઉમેરી છે. હાલમાં શાહજહાં શેખ સીબીઆઈની કસ્ટડીમાં છે, જ્યાં આ હિંસા સંબંધિત કેસમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓ જાન્યુઆરીમાં શાહજહાં શેખના ઘરે દરોડા પાડવા ગયા હતા, ત્યારે તેમના સમર્થકોએ તેમના પર હુમલો કર્યો હતો. અધિકારીઓના વાહન પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. લગભગ બે મહિનાથી ધરપકડથી બચી ગયેલા શાહજહાં શેખ આખરે 29 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. શરૂઆતમાં આરોપીની કસ્ટડી પશ્ચિમ બંગાળ પોલીસ પાસે હતી. જોકે, કોર્ટની સૂચના બાદ તેને સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો.

સીબીઆઈએ ઈડી અધિકારીઓના નિવેદન નોંધ્યા
હાલમાં શાહજહાં શેખ ED અધિકારીઓ પર હુમલાના કેસમાં 10 માર્ચ સુધી CBI કસ્ટડીમાં છે. આ મામલામાં સીબીઆઈએ સીઆરપીસી 161 હેઠળ ઈડી અધિકારીઓના નિવેદન નોંધ્યા છે.જેમાં તે અધિકારીઓનો પણ સમાવેશ થાય છે જેમના પર શાહજહાંના ઘર પર દરોડા દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો.EDના સૂત્રોનું કહેવું છે કે તેઓ હવે તપાસથી સંતુષ્ટ છે. બીજી બાજુ સીબીઆઈ હવે અન્ય કેસોની તપાસ કરી રહી છે. ટૂંક સમયમાં પીડીએસ કૌભાંડ અને શેખ શાહજહાંના જમીન કૌભાંડનો મામલો સામે આવશે.

ફોરેન્સિક એક્સપર્ટે શાહજહાંના ઘરેથી પુરાવા એકત્રિત કર્યા
સીબીઆઈ હાલમાં શાહજહાં શેખના સમગ્ર ગુનાહિત ઈતિહાસની તપાસ કરી રહી છે. જ્યારે ED આ સમગ્ર મામલે નાણાકીય વ્યવહારો પર કામ કરી રહી છે. સીબીઆઈની ટીમ ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ સાથે શાહજહાં શેખના ઘરે પણ ગઈ હતી. ટીમે ઘણા દસ્તાવેજો અને પુરાવા એકઠા કર્યા છે. સીબીઆઈએ એફઆઈઆરમાં હત્યાના પ્રયાસની કલમ એટલે કે આઈપીસી 307 પણ ઉમેરી છે. આ રીતે સીબીઆઈ ધીમે ધીમે શાહજહાં પર પોતાની પકડ મજબૂત કરી રહી છે.