May 20, 2024

ડોક્ટર અને વૈજ્ઞાનિકો અનુસાર હોળી-ધૂળેટીનો તહેવાર ખુબ જ મહત્ત્વનો, જાણો કેમ?

Holi 2024: હોળી હિંદુ ધર્મનો પ્રમુખ તહેવાર છે. વસંત મહિનો આવતાની સાથે જ લોકોમાં તેને લઇ આતુરતા વધી જાય છે. ફાગણના શુક્લ પક્ષની પૂર્ણિમાની રાત્રે હોલિકા દહન કરવામાં આવે છે અને તેના આગામી દિવસે રંગોના પર્વ એવા ધૂળેટીની ઉજવણી કરવામાં આવે છે. હિંદુ ધર્મ અનુસાર, હોળિકા દહનને અનિષ્ટ પર સત્યની જીતનું પ્રતીક માનવામાં આવે છે. હોળિકા એક સાંસ્કૃતિક, ધાર્મિક અને પારંપરિક તહેવાર છે. સમગ્ર ભારતમાં તેને લઇ અલગ જ ઉજવણી અને ઉત્સાહ જોવા મળે છે. હોળી તે ભાઈચારા, આપસી પ્રેમ અને સદ્ભાવનાનો તહેવાર છે. જોકે હોળી માત્ર તહેવાર નથી પરંતુ પર્યાવરણથી લઇને તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. હોળી મનાવવાનું ધાર્મિક કારણ તો છે જ પરંતુ શું તમે તેનું વૈજ્ઞાનિક કારણ જાણો છો! જો નહીં તો આજે અમે તમને હોળી અને ધૂળેટીના તહેવાર પાછળનું વૈજ્ઞાનિક કારણ જણાવીશું.

વૈજ્ઞાનિકો અનુસાર, હોળીનો તહેવાર વર્ષમાં એવા સમયે આવે છે જ્યારે વાતાવરણમાં પલટો થવાના કારણે લોકો આળસુ બની જતા હોય છે. ઠંડીમાંથી ગરમ વાતાવરણ થવાના કારણે શરીરને થોડોક થાક અને સુસ્તીનો અનુભવ થવો તે કુદરતી છે. શરીર આ સુસ્તીને દૂર ભગાડવા માટે જ લોકો ફાગણની આ ઋતુમાં જોરશોરથી હોળીના તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે છે. કેટલાક વૈજ્ઞાનિકોનું એ પણ કહેવું છે કે રંગો રમવાથી સ્વાસ્થ્ય પર સકારાત્મક પ્રભાવ પડે છે કારણ કે રંગ આપણા શરીર તથા માનસિક સ્વાસ્થ્ય પર કેટલાય પ્રકારની અસર નાંખે છે.

આ પણ વાંચો: ડાકોર પદયાત્રીઓને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામું, આ રસ્તાઓ રહેશે બંધ

આ પણ વાંચો: હોળી પર વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ, મેષ રાશિના જાતકો થશે માલામાલ

કેટલાક ડોક્ટરો અનુસાર, હોળીમાં શરીર પર ફૂલોમાંથી તૈયાર કરવામાં આવેલા રંગીન પાણી, વિશુદ્ધ રીતે અબીલ અને ગુલાલ નાંખવાથી શરીરને ફ્રેશ અનુભવ કરાવે છે અને આ શરીરને તાજગીભર્યુ બનાવે છે.

હોળીનો તહેવાર મનાવવાનું એક બીજું વૈજ્ઞાનિક કારણ છે. જે હોલિકા દહનની પરંપરા સાથે જોડાયેલું છે. શરદ ઋતુની સમાપ્તિ અને વસંત ઋતુના આગમનનો આ સમય પર્યાવરણ અને શરીરમાં બેક્ટેરિયાની વૃદ્ધિમાં વધારો કરે છે પરંતુ હોલિકા દહનથી લગભગ 145 ડિગ્રી ફેરનહિટ સુધી તાપમાન વધે છે. પરંપરા અનુસાર જ્યારે લોકો સળગતી હોળીની પરિક્રમા કરે છે ત્યારે હોલિકામાંથી નિકળતી ગરમી શરીર અને આસપાસના પર્યાવરણમાં રહેલ બેક્ટેરિયાને નષ્ટ કરે છે. અને આ પ્રકારે તે શરીર તથા પર્યાવરણને સ્વચ્છ કરે છે.