July 1, 2024

NDA સાંસદોને કેમ મળ્યા PM મોદી!, ચિરાગ પાસવાનના કર્યાં વખાણ

PM Modi meeting NDA MPs: PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે ચિરાગ પાસવાનની પાર્ટી LJP (રામ વિલાસ)ના સાંસદો સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેણે ચિરાગ પાસવાનના વખાણ કર્યાં અને કહ્યું કે મને ખુશી છે કે તેણે પોતાની જાતને સાબિત કરી દીધી અને તેના પિતાના સપના પૂરા કરી રહ્યો છે. ચિરાગ પાસવાન એલજેપી (રામ વિલાસ)ના પ્રમુખ છે અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના પુત્ર છે. સમાજવાદી નેતા રામવિલાસ પાસવાને એલજેપીની રચના કરી હતી અને તેમના મૃત્યુ બાદ પાર્ટી બે જૂથોમાં વહેંચાઈ ગઈ હતી.

એક જૂથનું નેતૃત્વ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રામવિલાસ પાસવાનના ભાઈ પશુપતિ કુમાર પારસ કરી રહ્યા છે, જ્યારે બીજા જૂથનું નેતૃત્વ ચિરાગ પાસવાન કરી રહ્યા છે. બંને પક્ષો એનડીએના સભ્યો છે. લોકસભા ચૂંટણી માટે સીટ વહેંચણી અંગેના કરાર મુજબ, ભાજપે એલજેપી (રામ વિલાસ)ને પાંચ બેઠકો આપી હતી, જ્યારે પશુપતિ પારસની આગેવાની હેઠળની પાર્ટી એક પણ બેઠક મેળવી શકી ન હતી. ભાજપ પર તેમની પાર્ટીની અવગણના કરવાનો આરોપ લગાવીને પારસે કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું.

મીટિંગની તસવીરો શેર કરતી વખતે, વડાપ્રધાને ‘X’ પર લખ્યું, ‘રામ વિલાસ પાસવાન જી મારા ખૂબ જ પ્રિય મિત્ર હતા, જેમની મૂલ્યવાન આંતરદૃષ્ટિ હું ખૂબ જ યાદ કરું છું. મને ખુશી છે કે ચિરાગ પાસવાને પોતાની જાતને સાબિત કર્યા છે અને રામવિલાસ જીના સપના પૂરા કરી રહ્યા છે. અમારી પાર્ટીઓ જનસેવા માટે મજબૂત રીતે સાથે છે. સંસદનું સત્ર શરૂ થયા બાદ વડાપ્રધાન મોદી ગઠબંધનના સહયોગીઓના સાંસદોને સતત મળી રહ્યા છે. આ પહેલા ગુરુવારે મોદીએ જેડીયુના સાંસદો સાથે મુલાકાત કરી હતી.

આ દરમિયાન વડાપ્રધાને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વની પ્રશંસા કરી હતી. મોદીએ બુધવારે તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના સાંસદોને મળ્યા હતા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની પ્રશંસા કરી હતી. લોકસભામાં ટીડીપીના 16 સાંસદો છે અને તે ભાજપનો સૌથી મોટો સહયોગી છે. જેડી(યુ) 12 સાંસદો સાથે લોકસભામાં બીજેપીનો બીજો સૌથી મોટો સાથી છે, જ્યારે એલજેપી (રામવિલાસ) પાસે પાંચ સાંસદો છે. કેન્દ્રીય મંત્રી પરિષદમાં, એલજેપી (રામ વિલાસ) પાસે એક સભ્ય છે, જ્યારે ટીડીપી અને જેડી (યુ) પાસે બે-બે સભ્યો છે.