September 20, 2024

પ્રથમ ગણતંત્ર દિવસ પર કેવી સ્થિતિ હતી?

26 જાન્યુઆરી 1950ના ભારતે પહેલા ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી. એ સમયે ડૉ. રાજેન્દ્ર પ્રસાદે ભારતના પહેલા રાષ્ટ્રપતિ તરીકેના શપથ લીધા હતા.વર્ષ 1950માં ઈર્વિન સ્ટેડિયમમાં ગણતંત્ર દિવસનો કાર્યક્રમ યોજાયો હતો. દેશના પહેલા ગણતંત્ર સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ઈન્ડોનેશિયાના તત્કાલીન રાષ્ટ્રપતિ સુકર્ણા આવ્યા હતા.

આ પણ વાંચો: કર્મવીર પીએમ નરેન્દ્ર મોદી માટે નેશન ફર્સ્ટએ જીવનમંત્ર અને કર્મસાધના…

તારીખ 26 જાન્યુઆરી વર્ષ 1950ના સવારે 10.18 કલાક એક ઐતિહાસિક ક્ષણ હતી, જ્યારે દેશના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારીએ ભારતને સાર્વભૌમ લોકતાંત્રિક પ્રજાસત્તાક જાહેર કર્યું હતું. વર્ષ 1947માં ભારત અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયું. તે જ સમયે એટલે કે 26 જાન્યુઆરી 1950 ના રોજ ભારતીય બંધારણના અમલીકરણ પછી ભારત એક પ્રજાસત્તાક રાજ્ય બન્યું. પ્રજાસત્તાક એટલે એક રાજ્ય જેનું શાસન નાગરિકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરે છે. આ તારીખે આજના રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં ડૉ.રાજેન્દ્ર પ્રસાદે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. એ બાદ તેમનો કાફલો કનોટ પ્લેસ અને તેની નજીકના વિસ્તારોમાંથી પસાર થયો. લગભગ પોણા ચાર વાગ્યે ઇર્વિન સ્ટેડિયમ પહોંચ્યો. ઈર્વિન સ્ટેડિયમ હવે મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ તરીકે ઓળખાય છે. અહીં ભારતનો પ્રથમ ગણતંત્ર સમારોહ યોજાયો હતો.

ઈર્વિન સ્ટેડિયમ ખાતે સમારોહ
વર્તમાન સમયમાં પરેડ રાજપથ, ઈન્ડિયા ગેટ થઈને લાલ કિલ્લા સુધી પહોંચે છે, પરંતુ 1954 સુધી અલગ-અલગ જગ્યાએ ગણતંત્ર દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ વખત ઈર્વિન સ્ટેડિયમમાં ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. એ બાદ રાજપથ, લાલ કિલ્લો અને રામલીલા મેદાન ખાતે પ્રજાસત્તાક દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ 1955થી દર વર્ષે રાજપથ (કર્તવ્ય પાથ) પર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવે છે.

શાહી ગાડીની વાર્તા
વર્ષ 1950 ના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભારતના રાષ્ટ્રપતિ શાહી ગાડીમાં આવ્યા હતા. આ બગીને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણી ચર્ચા થઈ હતી. વાસ્તવમાં આ બગી બ્રિટિશ પ્રતિનિધિ લોર્ડ માઉન્ટબેટનની હતી. જે સમયે ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા એ સમયે આ બગીને લઈને અનેક સવાલો ઊભા થયા હતા. એ સમયે એક અધિકારીએ સૂચવ્યું કે, શાહી ગાડી કયા દેશની હશે તે નક્કી કરવા માટે એક સિક્કો ફેંકવો જોઈએ. જેના માટે પાકિસ્તાન તરફથી કમાન્ડર-મેજર યાકુબ ખાન અને ભારત તરફથી કમાન્ડર-મેજર ગોવિંદ સિંહને બોલાવવામાં આવ્યા હતા. જેમાં સિક્કો ભારતની તરફેણમાં પડ્યો. આ રીતે એ બગી ભારતના રાષ્ટ્રપતિનું વાહન બની ગઈ.

31 તોપોની સલામી
ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રગીત સાથે બંદૂકની સલામીની પરંપરા શરૂઆતથી ચાલી આવે છે. વર્તમાનમાં રાષ્ટ્રગીતની શરૂઆતથી અંત સુધીમાં 21 તોપોની સલામી આપવામાં આવે છે. આ સલામી રાજકીય સન્માન આપવાની એક રીત છે. અહેવાલો અનુસાર ભારતના રાષ્ટ્રપતિને પ્રથમ ગણતંત્ર દિવસ પર 31 તોપોની સલામી આપવામાં આવી હતી. એ સમયે 31 તોપોને શાહી સલામી માનવામાં આવતી હતી. જે આગળ જતા ઘટીને 21 થઈ ગઈ.