હિઝબુલ્લાહનો નાશ કરીશું… કમાન્ડર ઈબ્રાહીમને માર્યા બાદ ઈઝરાયલે કરી જાહેરાત

Israel: ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે તણાવ દિવસેને દિવસે વધી રહ્યો છે. હિઝબુલ્લાએ શુક્રવારે ઈઝરાયલ પર 140 થી વધુ રોકેટ હુમલા કર્યા. હિઝબુલ્લાહના નેતા હસન નસરાલ્લાહે ઈઝરાયલ પર મોટા પ્રમાણમાં બોમ્બ ધડાકાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધાના એક દિવસ બાદ આ હુમલો થયો છે. જવાબમાં, ઈઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહના સ્થાનો પર હવાઈ હુમલો કર્યો.જેમાં હિઝબુલ્લાહનો ટોચનો કમાન્ડર ઇબ્રાહિમ અકીલ માર્યો ગયો. ઈઝરાયલે આ સમાચારની પુષ્ટિ કરતા કહ્યું કે ઈબ્રાહિમ અકીલ તેના હવાઈ હુમલામાં માર્યો ગયો છે.
લેબનોનમાં કરવામાં આવેલા હુમલા અંગે માહિતી આપતા ઈઝરાયલની સેનાના પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું કે ઈઝરાયલ હિઝબુલ્લાહની હુમલા કરવાની ક્ષમતાને કાયમ માટે ખતમ કરવાની યોજના ધરાવે છે. તેણે એમ પણ કહ્યું કે ઈબ્રાહિમ અકીલની સાથે હિઝબુલ્લાહના ઘણા લડવૈયાઓ પણ માર્યા ગયા. ઈઝરાયલ તેના નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે અને તેમની સુરક્ષા માટે કોઈપણ જરૂરી પગલાં લેશે.
આ પણ વાંચો: તાવ-માથામાં દુખાવા જેવા લક્ષણ હોય તો કરાવો ટેસ્ટ… કેરળમાં હાહાકાર મચાવે છે નિપાહ વાયરસ
કોણ હતો ઈબ્રાહીમ અકીલ?
ઈબ્રાહિમ અકીલ હિઝબુલ્લાહનો ટોચનો કમાન્ડર હતો. તે હિઝબુલ્લાહના રદવાન યુનિટનો કમાન્ડર હતો. રદવાન યુનિટને હિઝબુલ્લાહનું સૌથી અગ્રણી યુનિટ માનવામાં આવે છે. ઈઝરાયલની સેનાના જણાવ્યા અનુસાર ઈબ્રાહિમ અકીલ ઈઝરાયલ પર 7 ઓક્ટોબર જેવો હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો. તેને 1983માં બેરૂતમાં યુએસ એમ્બેસી પર થયેલા હુમલાનો પણ આરોપી માનવામાં આવે છે. જેમાં 241 લોકો માર્યા ગયા હતા. હકીકતમાં 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયલ પર એક સાથે અનેક રોકેટ છોડ્યા હતા અને ઈઝરાયલની સીમામાં ઘૂસી ગયા હતા.
હમાસ પછી હિઝબુલ્લાહ
તાજેતરના સમયમાં જે રીતે ઈઝરાયલની સેનાએ હિઝબુલ્લાહ સામે હુમલા તેજ કર્યા છે. તે જોઈને લાગે છે કે હમાસ સાથેના યુદ્ધ બાદ હવે તે હિઝબુલ્લાહ સામે પણ યુદ્ધમાં ઉતરવાની તૈયારી કરી રહ્યું છે. ઈઝરાયલની સેનાના પ્રવક્તાના નિવેદનથી એવી પણ છાપ મળે છે કે તે હિઝબુલ્લાહ પર વધુ હુમલા કરી શકે છે. પેજર હુમલા બાદ પણ ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું કે હવે આ યુદ્ધ આગામી તબક્કામાં પ્રવેશી રહ્યું છે.