September 17, 2024

‘અમે કહી રહ્યા છીએ શંભુ સરહદ ખોલો’, સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારને લગાવી ફટકાર

Supreme Court On Shambhu Border: સુપ્રીમ કોર્ટે શંભુ બોર્ડર પર લગાવેલા બેરિકેડ્સને હટાવવાનો નિર્દેશ આપતાં હરિયાણા સરકારને ફટકાર લગાવી હતી. ટિપ્પણી કરતા કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું કે તે હાઈવે કેવી રીતે બ્લોક કરી શકે? અમે કહી રહ્યા છીએ કે અંબાલા નજીક શંભુ બોર્ડર પર લગાવવામાં આવેલા અવરોધો દૂર કરો અને ટ્રાફિકને નિયંત્રિત કરો.

ખેડૂતોના આંદોલન દરમિયાન વિરોધ કરી રહેલા 22 વર્ષના યુવકના મોતની ન્યાયિક તપાસ વિરુદ્ધ હરિયાણાની અરજી પર સુનાવણી મોકૂફ રાખતી વખતે સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેંચે આ નિર્દેશ ત્યારે આપ્યો જ્યારે હરિયાણા સરકારના વકીલે કહ્યું કે અમે હાઈકોર્ટના 10 જુલાઈના આદેશ સામે અપીલ દાખલ કરવાની પ્રક્રિયામાં છીએ.

હાલમાં જ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે એક સપ્તાહમાં બેરિકેડ હટાવીને શંભુ બોર્ડર ખોલવાનો આદેશ આપ્યો હતો. વાસ્તવમાં ખેડૂતો પોતાની વિવિધ માંગણીઓ માટે 13મી ફેબ્રુઆરીથી શંભુ બોર્ડર પર પડાવ નાખી રહ્યા છે.

શું છે ખેડૂતોની માંગ?
સંયુક્ત કિસાન મોરચા (SKM) (બિન-રાજકીય) અને કિસાન મઝદૂર મોરચા (KMM)એ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ની કાયદેસર ગેરંટી સહિત વિવિધ માંગણીઓના સમર્થનમાં દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાત કરી હતી. આ પછી, હરિયાણા સરકારે ફેબ્રુઆરીમાં અંબાલા-નવી દિલ્હી રાષ્ટ્રીય ધોરીમાર્ગને બેરિકેડ કરી દીધો હતો.