July 2, 2024

ભર ચોમાસામાં ઉના તાલુકા પંચાયત પ્રમુખના ગામમાં જ પાણીની સમસ્યા

ધર્મેશ જેઠવા, ઉના: ઉના તાલુકા પંથકમાં પાણી પુરવઠાની અનેક યોજનાઓ હોવા છતાં નાથળ ગામના લોકો પીવાના પાણીની સમસ્યાથી પરેશાન છે. નાથળ ગામના તળાવ પાસે વસવાટ કરતી મહિલાઓને અને બાળકોને પાણી ભરવા માટે દૂર સુધી જવું પડે છે. આ નાથળ ગામની કુલ વસ્તી 7000 જેટલી છે અને તમામ લોકો ખેતી અને મજૂરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગામમાં કુલ 17 જેટલા ઝોન આવેલા છે અને બે જેટલા પાણીના સંપ છે.

નાથળ ગામમાં વાસ્મો યોજના હેઠળ કેસરિયા જૂથમાંથી 2થી 3 દિવસે પાણી આવતું હોય તેમજ સંપની બાજુના કૂવામાંથી મોટર વડે પાણીનો ટાંકો ભરી ગામમાં વિતરણ કરવામાં આવે છે પરંતુ આ તળાવ કાંઠાનો જે વિસ્તાર છે તે વિસ્તારમાં 10થી 12 દિવસે પાણી આવે છે. અહીંયા વસવાટ કરતા મહિલાઓ અને બાળકોને દૂર સુધી ચાલીને ખાનગી બોરમાંથી પાણી ભરવા જવું પડે છે. જે બાબતે આ મહિલાઓએ નાથળ સરપંચ અને નાથળ ગામના જ ઉના તાલુકા પંચાયત પ્રમુખને પાણી બાબતે અનેક વખત રજુઆત કરવા છતાં પણ પેટનું પાણી હલતું નથી.

આ પણ વાંચો: આગામી 3 કલાકમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી

આ અંગે ગ્રામ પંચાયતના મહિલા સરપંચ પ્રતિનિધિને પૂછવામાં આવતા જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતના કુવામાં પાણીના તળ ઊંડા જતા રહ્યા છે અને નર્મદાના પાણી પણ 3થી 4 દિવસે આવે છે ત્યારે રાજ્ય સરકાર ગ્રામજનોને પીવાના પાણીની સમસ્યાથી છુટકારો મળે એ માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે પરંતુ આ નાથળ ગામના તળાવકાંઠાના વિસ્તારના લોકોની મુશ્કેલીનો અંત ક્યારે આવશે તે જોવું રહ્યું.