September 8, 2024

ભ્રષ્ટાચારની ચાડી ખાતા નેશનલ હાઇવેની ખરાબ કામગીરીને લઈને અનોખો વિરોધ

હેરાતસિંહ રાઠોડ, વલસાડ: વાપીથી શામળાજી જતો નેશનલ હાઇવે 56 ધરમપુર નજીક પહેલા જ વરસાદમાં ધોવાઈ જતા રસ્તાની કામગીરી પર ઉઠ્યા અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ રોડ બને હજુ એક જ વર્ષનો સમય થયો છે. 22.5 કરોડના ખર્ચે બનેલ આ રસ્તા પર પહેલા જ વરસાદમાં એટલા ખાડા પડ્યા છે કે વાહનો ક્યાં ચલાવવા તેને લઈને વાહનચાલકો પણ મૂંઝવણમાં મુકાય છે.

વલસાડ જિલ્લામાં અનેકવાર રસ્તા ધોવાયા અને અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરની પોલ ખુલી ગઈ. ત્યારે વધુ એક રસ્તો એટલે કે વાપીથી શામળાજીને જોડતો નેશનલ હાઇવે 56. ધરમપુર નજીક 10 કિલોમીટરના અંતરના આ હાઈવે પર મસમોટા ખાડા પડી ગયા છે. આ ખાડાઓને કારણે છેલ્લા બે દિવસમાં ત્રણથી ચાર જેટલા અકસ્માતો પણ થયા છે. જેમાં, બે લોકો ઇજાગ્રત થયા હતા. વારંવારની રજૂઆત છતાં તંત્ર દ્વારા ખાડા ન પુરાતા ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.

22.5 કરોડના ખર્ચે બનેલ નેશનલ હાઇવે 56ની કામગીરી પર ધરમપુરના સ્થાનિક લોકોએ સવાલો ઉઠાવ્યા છે. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતને લઈને આ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો પણ કર્યા છે. ગઈકાલે આ જ રસ્તા ઉપર લોકોએ રસ્તા પર પડેલા ખાડામાં ભરાયેલા પાણીમાં પહેલે અબીલ કંકુ નાખી એની પૂજા કરી અને ત્યારબાદ વૃક્ષારોપણ કર્યું હતું. તો સાથે સાથે, વહીવટી તંત્રના અધિકારીઓને ચેતવણી આપી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે અત્યારે માત્ર આ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છે. જો આવનારા દિવસોમાં આ રસ્તાને રિપેર કરી બનાવવામાં ન આવ્યો તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.