September 19, 2024

MGVCLની મનમાનીથી કંટાળ્યા ગ્રાહકો, વીજકચેરીએ આવીને હોબાળો મચાવ્યો

વડોદરાઃ મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા તાજેતરમાં શહેરી વિસ્તારોમાં સ્માર્ટ પ્રિપેઈડ વીજ મીટરો લગાવવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. જેનાથી મધ્યમ અને ગરીબના લોકોને ભારે હાલાકીનો ભોગ બનવું પડે છે. સ્માર્ટ મીટર લગાવવાના ફાયદા કે ગેરફાયદાની સામાન્ય જાગૃતિ પણ ફેલાવ્યા વિના MGVCL દ્વારા મીટરો થોપી દેવામાં આવી રહ્યા છે. જેનાથી વીજબીલનું ભારણ વધતું હોવાની ફરિયાદ સાથે સુભાનપુરા વીજ કચેરી ખાતે મોટી સંખ્યામાં ગ્રાહકો ધસી આવ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી.

મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા હાલ આવતા વીજબીલમાં બે મહીને બીલ પૂરું પાડવામાં આવે છે અને તેમાંય વપરાશ વધુ આવે તો વીજ યુનિટનો દર પણ વધી જાય છે. આ સગવડિયા ગણિતને કારણે ગ્રાહકોને અચાનક જ બીલમાં 30થી 40 ટકાનો વધારો વેઠવો પડે છે. બે મહિનાની બિલિંગ સાયકલ ગ્રાહકો માટે નહીં પણ વીજ કંપનીને ફાયદો કરાવવા માટેની વ્યવસ્થા બની ગઈ હતી. ત્યારે હવે વીજ કંપની દ્વારા પ્રિપેઈડ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે.

સ્માર્ટ પ્રિ-પેઈડ મીટરના ફાયદા કે ગેરફાયદા ગ્રાહકોને સમજાવ્યા વિના જાણે ટાર્ગેટ પૂરો કરવા નીકળ્યા હોય તેવી રીતે માધ્યમ અને ગરીબ વર્ગના રહેણાંક મકાનોમાં પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. આ મીટરમાં જેટલા રૂપિયાનું રીચાર્જ કર્યું હોય તેટલો સમય વીજ કનેક્શન ચાલે છે. જેના કારણે ગ્રાહકોને અધવચ્ચે વીજબીલ ભરવા જવું પડે છે. જ્યારે કેટલાક ગ્રાહકોને ઓનલાઈન રીચાર્જની સમજણ ન હોવાથી વીજપુરવઠા વિના રહેવાનો વારો આવે છે.

વીજકંપનીની આવી મનમાની સામે આજે સુભાનપુરાના વીજ ઓફીસમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના રહીશો આવી પહોંચ્યા હતા અને પ્રિ-પેઈડ વીજ મીટર કાઢી જવા માટે રજૂઆત કરી હતી. જો કે, વીજ કંપનીના અધિકારીઓ દ્વારા એકબીજાને ખો આપતા ગ્રાહકો રોષે ભરાયા હતા અને અધિકારીઓનો ઘેરાવો કર્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ ગોરવા પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. જ્યાં તેઓએ ગ્રાહકોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો.