September 20, 2024

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે BJP ઓફિસમાં બ્લાસ્ટ કરવાનો હતો પ્લાન, NIAનો ખુલાસો

NIA Chargesheet: બેંગલુરુના રામેશ્વરમ રેસ્ટોરન્ટમાં હુમલો કરનાર આતંકવાદીઓ અંગે એક નવો ખુલાસો સામે આવ્યો છે. NIAના જણાવ્યા અનુસાર, અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ભાજપને પાઠ ભણાવવા માટે બંને આતંકવાદીઓએ બેંગલુરુમાં ભાજપ કાર્યાલય પર IED વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

NIAની તપાસ અનુસાર, કાફેમાં બોમ્બ પ્લાન્ટ કરનાર તાહા અને શાજીબ ઈસ્લામિક સ્ટેટના અલ-હિંદ મોડ્યુલનો પર્દાફાશ થયા બાદ 2020થી ફરાર હતા. બોમ્બ વિસ્ફોટના 42 દિવસ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. NIAએ કહ્યું કે તેમના હેન્ડલર્સ તેમને ક્રિપ્ટો કરન્સી દ્વારા પૈસા આપતા હતા, જેનો ઉપયોગ બંને આતંકી ઘટનાઓને અંજામ આપવા માટે કરતા હતા. બંનેએ મળીને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ટાના દિવસે ભાજપને પાઠ ભણાવવા માટે બેંગલુરુના મલ્લેશ્વરમમાં રાજ્ય ભાજપ કાર્યાલય પર IED વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ તેમના ખતરનાક પ્લાનમાં સફળ ન થઈ શક્યા, જ્યારે તે બંને અહીં નિષ્ફળ ગયા, ત્યાર બાદ તેઓએ રામેશ્વરમ કેફેમાં બોમ્બ બ્લાસ્ટની યોજના બનાવી.