September 8, 2024

પાલનપુરના ટોકરીયામાં 11 વર્ષના માસૂમની હત્યા કરનાર આખરે જેલ હવાલે

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: એક દિવસ અગાઉ પાલનપુરના ટોકરીયામાં 11 વર્ષના માસુમ બાળક મહોમદ શેરશીયાના અપહરણ બાદ હત્યા કરી લાશને ગામની સીમમાં ફેંકી દીધી હતી. જે મામલે પંથકમાં ચકચાર મચી ગઈ હતી. જોકે માસૂમ બાળકની હત્યાને લઇ જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી હત્યારાની શોધખોળ હાથ ધરી હતી. જેમાં ગામના ફારુક જમાલ દાઉમા નામના એક શકમંદને ઝડપી પૂછપરછ કરતા આરોપીએ બાળકની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

હેવાનિયતની હદ વટાવી એક માસુમ બાળકને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવી છે. પાલનપુર તાલુકાના ટોકરીયા ગામે એક મુસ્લિમ પરિવારના 11 વર્ષીય મોહમ્મદ શેરસીયા નામના બાળકનું ગામના ફારુક જમાલ દાવમાં નામના શખ્સે અપહરણ કરી ગાડીમાં બેસાડી અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેની સાથે ગંદી હરકતો કરી અડપલા કર્યા હતા.ત્યારે બાળકે વિરોધ કરતા અને આ 11 વર્ષીય બાળક તેના પરિવારને જાણ કરી દેશે તેવા ડરને લઈને આરોપીએ આ બાળકને ગળાના ભાગે તીક્ષણ હથિયાર વડે માર મારી તેની હત્યા કરી અને ગામની સીમમાં ફેંકી દીધો હતો.

ત્યારે પરિવાર દ્વારા બાળકની શોધખોળ બાદ માસુમ બાળકની લાશ ગામની સીમમાંથી મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આ બાળકના હત્યારાની શોધ ખોળ હાથ ધરી હતી. જિલ્લા પોલીસ વડાએ એલસીબી એસઓજી ગઢ પોલીસ સહિતની અલગ અલગ ટીમો બનાવીને માસુમ બાળકની હત્યા કરનાર આરોપીને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી હતી. પોલીસે સૌપ્રથમ ટોકરીયા ગામના અંદર અલગ અલગ ઈસમો ની પૂછપરછ હાથ ધરી હતી.જેમાં શકમંદ દેખાતા ફારૂક જમાલ દાઉમાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરાતા આરોપીએ બાળકની હત્યા કરી હોવાનું કબૂલ કર્યું હતું ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યો છે.