May 3, 2024

T-20 વર્લ્ડ કપથી પહેલા મોટી મુશ્કેલીમાં ટીમ ઇન્ડિયા, કોચ રાહુલ દ્રવિડે કર્યો ઈશારો

Rahul Dravid- NEWSCAPITAL

આ વર્ષના T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા તરફથી કયા ખેલાડીઓ રમતા જોવા મળશે તે સવાલનો જવાબ હજુ સુધી મળ્યો નથી. ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે પણ વર્લ્ડ કપ પહેલા સૌથી મોટી સમસ્યા ગણાવી છે. અફઘાનિસ્તાન સામે 3-0થી જીત નોંધાવ્યા બાદ પણ રાહુલ દ્રવિડનું કહેવું છે કે વર્લ્ડ કપ પહેલા ઘણી બાબતો છે જેને ઉકેલવાની જરૂર છે. દ્રવિડે એમ પણ કહ્યું કે સૌથી મોટી સમસ્યા એ છે કે આ બાબતોને ઉકેલવામાં બહુ ઓછો સમય બચ્યો છે.

ટીમ ઈન્ડિયાએ જૂનમાં યોજાનારા વર્લ્ડ કપ પહેલા છેલ્લી T20 સિરીઝ રમી છે. આ શ્રેણીમાં યશસ્વી જયસ્વાલ, શિવમ દુબે, જીતેશ શર્મા, અક્ષર પટેલ અને રવિ બિશ્નોઈ જેવા યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને ટીમ મેનેજમેન્ટની મુશ્કેલી વધારી દીધી છે. આ વિશે વાત કરતા રાહુલ દ્રવિડે કહ્યું, “વર્લ્ડ કપ પછી, ઘણા કારણોસર, અમે વિવિધ ખેલાડીઓને તક આપી રહ્યા છીએ. તે સારું છે કે અમારી પાસે ઘણા બધા વિકલ્પો છે.

રાહુલ દ્રવિડે વધુમાં કહ્યું કે, “કેટલીક સમસ્યાઓ છે જેને ઉકેલવાની જરૂર છે.” અમે તેના વિશે વિચારી રહ્યા છીએ. સમસ્યા માત્ર એ છે કે હવે આપણી પાસે બહુ ઓછો સમય બચ્યો છે. અમે વધારે ક્રિકેટ રમવાના નથી. અમારી પાસે IPL છે. અમે તેના વિશે જાણીએ છીએ. અમારે આઈપીએલ પર ચાંપતી નજર રાખવી પડશે. અમે જોઈ રહ્યા છીએ કે અમારા ખેલાડીઓ IPLમાં કેવી રીતે રમે છે અને ટીમમાં કેવી જગ્યાઓ ભરાય છે.

વિકેટકીપર નક્કી નથી

શિવમ દુબેએ અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં 124 રન બનાવ્યા હતા અને તે બે વિકેટ પણ લેવામાં સફળ રહ્યો હતો. દ્રવિડે સ્વીકાર્યું કે દુબેને માત્ર ઓલરાઉન્ડર તરીકે જ જોવામાં આવે છે. દ્રવિડે કહ્યું, “દુબેએ ઘણા વર્ષો પછી પુનરાગમન કર્યું છે. હવે તે પહેલા કરતા વધુ સારા ખેલાડી તરીકે ઉભરી આવ્યો છે. સીરિઝમાં શિવમને પરફોર્મ કરતા જોઈને આનંદ થયો.

વિકેટકીપર તરીકે પણ ટીમ ઈન્ડિયા પાસે જીતેશ શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, કેએલ રાહુલ અને ઋષભ પંતના રૂપમાં ઘણા વિકલ્પો છે. પંતનું રમવું તેની ફિટનેસ પર નિર્ભર રહેશે. રાહુલ દ્રવિડે સ્વીકાર્યું કે વર્લ્ડ કપ પહેલા વિકેટકીપરનું રહસ્ય પણ ઉકેલાઈ જશે.