September 21, 2024

Swati Maliwal Caseની તપાસ SIT કરશે, આ મહિલા અધિકારી જવાબદારી સંભાળશે

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલિવાલ પર હુમલા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. હુમલાના કેસની તપાસ માટે દિલ્હી પોલીસની વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. આ પહેલાં સોમવારે સાંજે દિલ્હી પોલીસની ટીમ બિભવ કુમાર સાથે મુખ્યમંત્રી આવાસ પર પહોંચી હતી. આ સમય દરમિયાન ઉત્તર જિલ્લાના અધિક પોલીસ કમિશનર અંજિતા ચેપાયના અને ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા.

અંજિતા ચિપિયાલા ટીમનું નેતૃત્વ કરશે
પોલીસ અધિકારીએ કહ્યું કે, સ્વાતિ માલીવાલ કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. એક અઠવાડિયા પહેલાં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએ બિભવ કુમાર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. SIT ટીમનું નેતૃત્વ ઉત્તર જિલ્લાના એડિશનલ DCP અંજિતા ચિપિયાલા કરશે.

આ પણ વાંચોઃ પહેલા હું આ લોકો માટે લેડી સિંઘમ હતી, હવે BJP એજન્ટ : સ્વાતિ માલીવાલ

આ અધિકારીઓને પણ SITમાં સામેલ કરવામાં આવશે અને તેમની હેઠળ ટીમ તપાસ કરશે. આ સિવાય ત્રણ ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારીઓ પણ SIT ટીમનો ભાગ છે. આ સાથે સિવિલ લાઇન પોલીસ સ્ટેશનના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે, જેમણે કેસ નોંધ્યો હતો. પોલીસ અધિકારીઓએ કહ્યું કે, SIT તેનો તપાસ રિપોર્ટ વરિષ્ઠ અધિકારીઓને સોંપશે.

પોલીસે બિભવ સાથે ક્રાઈમ સીન રિક્રિએશન કર્યું હતું
સમગ્ર ઘટના જાણવા પોલીસે બિભવની હાજરીમાં ઘટનાસ્થળનું પુનરાવર્તન કર્યું હતું. સૂત્રોનું કહેવું છે કે, બિભવ પૂછપરછમાં વધુ સહકાર આપી રહ્યો નથી. તે માત્ર હા કે નામાં જ જવાબ આપે છે. પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે અને કેસ સાથે જોડાયેલી દરેક કડીને જોડવાનો પ્રયાસ કરી રહી છે.

ઘણા લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા
પોલીસ ટીમે સીએમ આવાસ પર હાજર ઘણા કર્મચારીઓ અને અન્ય લોકોના નિવેદનો નોંધ્યા હતા. હજુ 15થી 20 લોકોના નિવેદન નોંધવાના બાકી છે. જેમાં પીસીઆર સ્ટાફ અને સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જનો સમાવેશ થાય છે.

આ કેસની તપાસ કરી રહેલા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બિભવે બીજા દિવસે પણ પોલીસ તપાસમાં સહકાર આપ્યો ન હતો. તે સતત નકારી રહ્યો છે કે, તેણે સ્વાતિ માલીવાલ પર હુમલો કર્યો હતો. જો કે, કેસ નોંધાયા બાદ તે શા માટે ભાગી ગયો અને તેણે પોતાનો મોબાઈલ કેમ ફોર્મેટ કર્યો તે અંગે તેની પાસે કોઈ જવાબ નથી. સૂત્રોનું કહેવું છે કે, પોલીસે ઘટનાના દિવસે મુખ્યમંત્રી આવાસ પર તૈનાત કર્મચારીઓ, સુરક્ષા કર્મચારીઓ અને અધિકારીઓની યાદી તૈયાર કરી છે. હવે પોલીસ તેમની એકપછી એક ઘટના અંગે પૂછપરછ કરશે. પોલીસે સોમવારે કેટલાક લોકોના નિવેદન પણ નોંધ્યા છે.