September 8, 2024

સુરેન્દ્રનગરમાં અત્યાર સુધીમાં 25 ટકા વરસાદ, ખેડૂતોમાં ચિંતા

વિજય ભટ્ટ, સુરેન્દ્રનગરઃ સમગ્ર રાજ્યમાં હાલ ચોમાસાનો માહોલ જામ્યો છે. મોટાભાગે રાજ્યના તમામ જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ ચોમાસામાં હજુ સુધી માત્ર 25% જેટલો જ વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

વઢવાણ-મેમકા રોડ પર આવેલા ભાદા હનુમાનજીના મંદિરે ખેડૂતો દ્વારા રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. મેઘરાજાને રીઝવવા માટે રામધૂનથી પ્રયાસ કર્યો હતો. ઝાલાવાડના ખેડૂતો બારે મહિના અલગ અલગ સિઝન મુજબ પાકનું વાવેતર કરે છે. જેમાં ચાલુ ચોમાસાની સિઝનમાં કપાસ, મગફળી, જુવાર સહિતનાં પાકનું હજારો હેકટર જમીનમાં વાવેતર કરી નાંખ્યું છે. પરંતુ ચાલુ ચોમાસાની સિઝનમાં અનિયમિત અને અપૂરતો વરસાદ પડતા ખેડૂતોને મહામહેનતે કરેલા વાવેતરને અસર થઈ રહી છે.

રાજ્યભરમાં સારો વરસાદ પડી રહ્યો છે. એકમાત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી ઓછો અત્યાર સુધીમાં માત્ર 25% જેટલો જ વરસાદ નોંધાયો છે. છેલ્લા 15 દિવસથી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો છે, પરંતુ વરસાદ નથી પડતો. ત્યારે આવી સ્થિતિમાં મેઘરાજાને મનાવવા માટે ખેડૂતો દ્વારા વઢવાણ-માળોદ રોડ પર આવેલ ભાદા હનુમાનજીના મંદિરે રામધૂન તેમજ મલિંદોનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાર થી પાંચ ગામોના ખેડૂતો જોડાયા હતા અને રામધૂન બોલાવી મેઘરાજાને મનાવવા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ તકે વઢવાણના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા પણ ઉપસ્થિત રહ્યા હતા.