May 19, 2024

સુરતમાં ઠેર-ઠેર યોજાશે વૈદિક હોળી, જાણો તેના ફાયદા

ગોબર સ્ટીક પર્યાવરણને પ્રદૂષિત થતું અટકાવે છે

અમિત રુપાપરા, સુરતઃ વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે લોકો હવે પર્યાવરણની જાળવણી માટે જાગૃત થયા છે. ત્યારે પર્યાવરણને શુદ્ધ રાખવા માટે લોકો વૃક્ષારોપણ પણ કરી રહ્યા છે. તો બીજી તરફ લોકોમાં હવે વૈદિક હોળીને લઈને પણ જાગૃતતા આવી છે. ત્યારે આવનારા હોળીના તહેવારને ધ્યાનમાં લઈ શહેરમાં અલગ અલગ ગૌશાળા તેમજ પાંજરાપોળમાં તૈયાર કરવામાં આવતી ગોબર સ્ટીકની ડિમાન્ડમાં વધારો થયો છે. ગોબર સ્ટીક ગાયના છાણમાંથી બનાવવામાં આવે છે અને આ ગોબર સ્ટીકની સાથે અન્ય ઔષધીઓનો ઉપયોગ કરીને વૈદિક હોળી પ્રગટાવવામાં આવે છે. જે પર્યાવરણને શુદ્ધ રાખવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત લાકડા કરતાં ગોબર સ્ટીક સસ્તી પડતી હોવાના કારણે લોકો ગોબર સ્ટીક ખરીદી રહ્યા છે અને પર્યાવરણનું જતન કરી રહ્યા છે.

વર્તમાન સમયમાં પર્યાવરણનું પ્રદૂષણ એક મોટો પડકાર છે. ત્યારે પર્યાવરણના જતન માટે વૃક્ષો ખૂબ જ ઉપયોગી છે. વૃક્ષોનું જતન થાય અને પર્યાવરણ શુદ્ધ થાય તે માટે લોકો હવે વૈદિક હોળી તરફ વળી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હોળીનો તહેવાર આવી રહ્યો છે. હોળીના તહેવારને ધ્યાનમાં લઈને સુરતમાં અલગ અલગ ગૌશાળા તેમજ પાંજરાપોળમાં ગોબર સ્ટીક બનાવવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ વડોદરાના સાંસદ અને BJP ઉમેદવાર રંજન ભટ્ટનો ચૂંટણી લડવાથી ઇનકાર

ગોબર સ્ટીક ગાયના છાણમાંથી તૈયાર કરવામાં આવે છે અને ગાયના છાણમાંથી તૈયાર થતી આ ગોબર સ્ટીક પર્યાવરણ શુદ્ધિકરણનું પણ કામ કરે છે. સુરત પાંજરાપોળમાં 80 હજાર કિલો ગોબર સ્ટીક તૈયાર કરવામાં આવી છે. જે ગાયના છાણમાંથી બનાવવામાં આવી છે. મહત્વની વાત છે કે, અગાઉ લોકો ગાયના છાણમાંથી હોળી પ્રગટાવતા હતા પરંતુ લોકો શહેર તરફ વળતા લોકો ગાયના છાણમાંથી તૈયાર થતા છાણામાંથી હોળી પ્રગટાવવાનું ભૂલીને વૃક્ષો કાપીને લાકડાંની હોળી પ્રગટાવતા થયા અને તેને જ લઈને અનેક વૃક્ષો કપાતા હતા.

surat vaidik holika dahan celebrate at so many places see all details with benefits
ગોબર સ્ટીકનું ઉત્પાદન મોટાપાયે કરવામાં આવ્યું છે.

ત્યારે હવે ફરી લોકો વૈદિક હોળી પ્રગટાવવા તરફ વળી રહ્યા છે. પર્યાવરણના સંતુલન અને વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવવા માટે ગાયના છાણમાંથી તૈયાર કરેલા છાણા તથા ગોબર સ્ટીકથી વૈદિક હોળી તેમજ વૈદિક યજ્ઞ કરવામાં આવે છે. આ ગોબર સ્ટીકના કારણે વૃક્ષોનો બચાવ થાય છે. વૈદિક હોળી એટલે વૈદિક પરંપરા અનુસાર ગાયના ગોબર, સમીધા અને આયુર્વેદિક ઔષધીની આહુતિથી પ્રગટાવવામાં આવતી હોળી એટલે વૈદિક હોળી. મહત્વની વાત છે કે, વસંત-શિશિર ઋતુના સંધિકાળ દરમિયાન વાતાવરણમાં ઉત્પન્ન થતા વાયરસ વૈદિક હોળીના દહનથી નાબૂદ થાય છે અને વૈદિક હોળીના કારણે એક આરોગ્યપ્રદ વાતાવરણનું સર્જન થાય છે.

આ પણ વાંચોઃ ભીખાજી ઠાકોરની ચૂંટણી ન લડવાની જાહેરાત, 15 મિનિટમાં જ FB પોસ્ટ ડિલીટ

સુરત શહેરની વાત કરવામાં આવે તો, આ વર્ષે સુરતની 1000 કરતાં વધારે જગ્યાએ અને અલગ અલગ સોસાયટીઓમાં વૈદિક હોળી પ્રગટાવવામાં આવશે. આ માટે લોકોએ અગાઉથી જ અલગ અલગ ગૌશાળામાં ગોબર સ્ટીકનું બુકિંગ પણ કરાવી દીધું છે. મહત્વની વાત કહી શકાય કે, લાકડાંની તુલનામાં ગોબર સ્ટીક ભાવમાં પણ સસ્તી આવે છે. 1 કિલો લાકડાનો ભાવ અંદાજે તો 40 રૂપિયા ગણવામાં આવે છે. તો તેની સામે ગોબર સ્ટીક 25 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહી છે. આ ઉપરાંત ગોબર સ્ટીકનું વેચાણ થવાથી ગૌશાળાઓને પણ ગૌસંવર્ધનમાં ફાયદો થશે. ગોબર સ્ટીકના વેચાણથી જે પણ રૂપિયાની આવક થાય છે, તેનો ઉપયોગ ગૌશાળા તેમજ પાંજરાપોળમાં ગાયોના ઘાસચારા તેમજ તેની સાર સંભાળ માટે કરવામાં આવે છે.