October 23, 2024

સુરતની અનોખી શાળા, વિદ્યાર્થીઓને દિવાળી ગૃહકાર્યમાં આપ્યું ગીતાજીના શ્લોકોનું પઠન

અમિત રુપાપરા, સુરતઃ વર્તમાન સમયમાં હિંદુ સંસ્કૃતિનું આચરણ યુવા પેઢી કેવી રીતે કરે તે બાબત એક મોટો પડકાર બને છે. કારણ કે, વિદેશી કલ્ચરના કારણે યુવાનો હવે હિંદુ સંસ્કૃતિને વિસરતા જઈ રહ્યા છે. ત્યારે સુરતની એક શાળા દ્વારા સનાતન સંસ્કૃતિને બચાવવા માટે અને બાળકોમાં નાનપણથી જ ભગવદ્ ગીતાનું જ્ઞાન આવે એટલા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી નાલંદા વિદ્યાલય દ્વારા શાળામાં ભણતા વિદ્યાર્થીઓને અનોખું દિવાળી હોમવર્ક આપવામાં આવ્યું છે. શાળાના વિદ્યાર્થી ભગવત ગીતાના શ્લોકોથી મોટીવેટ થાય અને સનાતન સંસ્કૃતિનું જ્ઞાન બાળકોને મળે તેવા હેતુથી બાળકોને દિવાળી વેકેશનના હોમવર્કમાં ભગવત ગીતાના લોકોનું પઠન કરવા માટે જણાવવામાં આવ્યું છે.

નાલંદા શાળાના 10000 જેટલા વિદ્યાર્થીઓને વેકેશન દરમિયાન ધર્મ અને સંસ્કારોનું સિંચન થાય તેવું ગૃહકાર્ય શાળા પરિવાર દ્વારા આપવામાં આવ્યું છે. દિવાળી કાર્ડમાં ભગવદ્ ગીતાના શ્લોક છાપીને વિદ્યાર્થીઓને આ કાર્ડ આપવામાં આવ્યા છે. જેથી કરીને વિદ્યાર્થી પ્રતિદિન આ શ્લોક બોલીને ભગવદ્ ગીતાના લોકોને કંઠસ્થ કરી શકે.

શાળાના વિદ્યાર્થી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, શ્રીમદ્ ભગવદ્ ગીતા ભગવાન શ્રીકૃષ્ણના મુખમાંથી નીકળેલા શબ્દો છે અને આ ભગવદ્ ગીતા સાંભળ્યા બાદ અર્જુનને ભાઈઓ સાથે મળીને મહાભારતનું યુદ્ધ જીત્યું હતું. વર્તમાન સમયમાં પણ જો કોઈ યુવાનો ભગવદ્ ગીતાના શ્લોકોનું પઠન કરે અને તેમાંથી ઇન્સ્પિરેશન મેળવે એટલા માટે શાળા દ્વારા જે દિવાળી હોમવર્ક આપવામાં આવ્યું છે તે હોમ વર્ક ખૂબ જ અનોખું હોમવર્ક છે.

શાળાના કેમ્પસ ડાયરેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં દરેક શાળામાં વિદ્યાર્થીઓને દિવાળીના હોમવર્ક પેટે શાળામાંથી ગૃહકાર્ય આપવામાં આવતું હોય છે. આ ગૃહકાર્ય વિષયોનું જ હોય છે, જે વિદ્યાર્થી શાળામાં અભ્યાસ કરે છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા ધોરણ 6થી 8માં ભગવદ્ ગીતાના પાઠનો જે કોર્સ એડ કરવામાં આવ્યો છે. તે કોર્ષ વિશે શાળાના તમામ વિદ્યાર્થીઓ જાણે અને શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકો વિદ્યાર્થીઓને કંઠસ્થ થાય તેથી આ પ્રયાસ શાળા દ્વારા કરવામાં આવ્યો છે અને શાળાના 10000 જેટલા વિદ્યાર્થીઓ ભગવદ્ ગીતાના શ્લોકોનું પઠન કરશે. શ્લોકો કંઠસ્થ થયા બાદ તેનો એક વીડિયો સ્કૂલના whatsapp નંબર પર મોકલીને પોતાનું ગૃહકાર્ય પૂર્ણ કરશે. શાળા દ્વારા અનોખો પ્રયાસ સનાતન સંસ્કૃતિને જાળવી રાખવા અને શ્રીમદ્ ભગવદ્ ગીતાનો વધુમાં વધુ પ્રચાર થાય તે હેતુથી કરવામાં આવ્યો છે. તો શાળા દ્વારા જે આ પગલું ભરવામાં આવ્યું છે. તેમાં વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા પણ સહકાર આપવામાં આવ્યો છે અને શાળાને આશા છે કે ભાગવત ગીતાના પાઠનું પઠન કર્યા બાદ વિદ્યાર્થીઓમાં સંપૂર્ણપણે પરિવર્તન જોવા મળશે.