May 1, 2024

Surat : પ્રેમી પંખીડાએ પાંચમાં માળેથી લગાવી મોતની છલાંગ, સારવાર દરમિયાન નીપજ્યું મોત

સુરત : કડોદરાની એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કડોદરામાં પ્રેમી પંખીડાએ 5માં માળેથી મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી લીધી છે. આ બંને કડોદરાના સરગમ કોમ્પ્લેક્ષની તૃપ્તિ રેસિડેન્સીમાં રહેતા હતા. એક વર્ષ પહેલા મધ્યપ્રદેશના મંદસોરથી ભાગીને સુરતમાં રહેતા હતા. ત્યારબાદ મધ્ય પ્રદેશ પોલીસ શોધતા શોધતા કડોદરા પહોંચી હતી. પોલીસના હાથે પકડાઈ જવાની બીકમાં મોતની છલાંગ લગાવી હતી.

પ્રેમી પંખીડાએ કર્યો આપઘાત

સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર સુરતમાં એક યુવક અને 13 વર્ષીય સગીર પ્રેમિકાએ આપઘાત કરી લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર બંને મધ્યપ્રદેશથી ભાગીને સુરતમાં રહેતા હતા. આ દરમિયાન પોલીસ બંનેને શોધતા શોધતા કડોદરા આવી પહોંચી હતી. પોલીસ ઘરનો દરવાજો ખખડાવી રહી હતી, ત્યારે બંનેએ પકડાઈ જવાની બીકે મોતની છલાંગ લગાવી હતી.

હોસ્પિટલમાં મોડી રાતે નીપજ્યું મોત

નોંધનીય છે કે આ બન્ને પ્રેમી-પંખીડાને સારવાર અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન બન્નેનું મોડી રાતે મોત નીપજ્યું હતું. જોકે, હાલ પોલીસે સમગ્રમ મામલે તપાસ હાથ ધરી છે.

13 વર્ષની સગીરાને ભગાડી ગુજરાત આવ્યો

ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના રામટેકરી મંદસોર ખાતે રહેતો યુવક એક વર્ષ અગાઉ 13 વર્ષની સગીરાને ભગાડી ગુજરાત આવ્યો હતો. એને લઇને સગીરાના પરિવારે સ્થાનિક પોલીસ મથક ખાતે યુવક વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધાવ્યો હતો. એને લઇને મધ્યપ્રદેશ પોલીસે તપાસ હાથ ધરી હતી. એ દરમિયાન પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે આ ગુનાનો આરોપી મહેશ ખટીક સગીરાને લઈને પલસાણા તાલુકાના કડોદરા ખાતે આવેલા તૃપ્તિ એપાર્ટમેન્ટના બી-505માં રહે છે. એ માહિતીના આધારે મધ્યપ્રદેશ પોલીસ કડોદરા પોલીસને સાથે રાખી સ્થળ પર પહોંચી હતી.

શરીર પર ગંભીર ઇજાઓ થઇ હતી

કડોદરા પોલીસ અને મધ્યપ્રદેશ પોલીસ દરવાજો ખખડાવતી હતી. એ દરમિયાન ઘરમાં રહેલાં પ્રેમી પંખીડાંએ બારીમાંથી એકસાથે છલાંગ લાગવી હતી. એને લઇને એપાર્ટમેન્ટ નીચે રહેલા લોકોએ બૂમાબૂમ કરતાં પોલીસને જાણ થઇ હતી. જેથી તેઓ પણ નીચે જઈ તપાસ કરતાં છલાંગ લગાવેલાં બંને પ્રેમી પંખીડાં હોવાનું જાણવા મળ્યું હતું. બંને પ્રેમી પંખીડાંને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.