September 18, 2024

બાલંભા ગામના વાડી વિસ્તારમાં ફસાયેલા 83 લોકોનું SDRF દ્વારા સફળ રેસ્ક્યૂ

સાંજે વાઘેલા, જામનગર: છેલ્લા કેટલાય સમયથી ભારે વરસાદને કારણે પુરગ્રસ્ત બનેલા જામનગરના અનેક ગામો જળમગ્ન થઈ ગયા છે. જામનગરના બાલંભા ગામે પાણીના પ્રવાહમાં ફસાયેલા લોકોનુ રેસ્ક્યું કરવામાં આવ્યું છે. બાલંભા ગામે પાણીના પ્રવાહમાં ફસાયેલા 83 લોકોનું SDRFની ટીમે રેસ્ક્યૂ કર્યું હતું. બાલંભા ગામના વાડી વિસ્તારમાં ફસાયેલા 28 બાળકો સહિત 83 લોકો ફસાયા હતા આ તમામ લોકોનું SDRF દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

જામનગર જિલ્લાના બાલંભા ગામે પાણીના પ્રવાહમાં ફસાયેલા 83 લોકોને બચાવી લેવા માટે SDRFની ટીમ દ્વારા દીલધક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તંત્રની સતર્કતાના પરિણામે વાડી વિસ્તારમાં ફસાયેલા 28 બાળકો સહિત તમામ 83 લોકોને રેસ્ક્યૂ કરીને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે.

જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં પડેલ ભારે વરસાદ તથા ઉપરવાસમાં પડેલ વરસાદના કારણે આજી-4 ડેમના પાણીના પ્રવાહના લીધે બાલંભા ગામે ખેતર વિસ્તારમાં પાણી ફરીવળતા ખેતમજુર કુટુંબ સાથે ફસાઈ ગયા હતા. આ મેસેજ મળતા બાલંભા સરપંચ તથા સ્થાનિક લોકોએ રેસ્ક્યૂ માટે પ્રયત્ન કરેલ. જે સફળ ન થતા તાલુકા કક્ષાએથી જિલ્લા કંટ્રોલ રૂમને મદદ માટે જાણ કરતા જિલ્લા કક્ષાએથી કલેક્ટર બી. કે. પંડયા દ્વારા તાત્કાલિક SDRFની ટીમ મોકલતા આજે સવારથી SDRF ટીમ મારફતે પ્રાંત અધિકારી ધ્રોલ વી.ડી. સાકરીયાના માર્ગદર્શન તળે ચાલુ વરસાદમાં રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ હતું. જેમાં 36 પુરુષ, 19 સ્ત્રી, 28 બાળકો મળી કુલ 83 લોકોનું સફળતા પૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘમહેર: સિઝનનો સરેરાશ 105% વરસાદ, કચ્છમાં સૌથી વધુ વરસાદ

આ રેસ્કયુ ઓપરેશનમાં જિલ્લા વહીવટી તંત્ર સાથે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ધરમશીભાઈ ચનીયારા, તાલુકા પંચાયત અને મામલતદાર ઓફિસ જોડિયાના અધિકારીઓ, પોલીસ સહિતનાઓએ સફળતા પૂર્વક રેસ્ક્યૂ ઓપરેશનની સરાહનીય કામગીરીમાં સહયોગ આપી લોકોની મહામુલી જિંદગી બચાવવામાં મદદરૂપ થતાં સમગ્ર પરિવારે તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.