October 3, 2024

દિલ્હીના ‘કાલકાજી મંદિર’માં મોટો અકસ્માત, વીજ કરંટથી 1 વિદ્યાર્થીનું મોત, 7 ઘાયલ

Kalkaji Temple electrocution: દિલ્હીના કાલકાજી મંદિરમાં એક મોટી દુર્ઘટનાના સમાચાર આવ્યા છે. અહી મંદિરની રેલીંગમાં ખુલ્લા તારને કારણે વીજ કરંટ લાગ્યો હતો. જેના કારણે 9મા ધોરણના બાળકનું મોત થયું હતું. અકસ્માત બાદ સર્જાયેલી નાસભાગમાં સાત લોકો ઘાયલ થયા છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ નવરાત્રીના કારણે સમગ્ર મંદિરમાં હેલોજન લાઈટો લગાવવામાં આવી છે. તેમાંથી એક લાઇટનો ઇલેક્ટ્રિક વાયર તૂટીને નજીકની લોખંડની રેલિંગ પર પડ્યો હતો. જેના કારણે ત્યાં હાજર લોકોને વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતા લોકો ચીસો પાડવા લાગ્યા હતા. લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડી આવ્યા હતા.

રામપ્યાઉ પાસે અકસ્માત સર્જાયો હતો
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના 2 ઓક્ટોબરે લગભગ 12.40 વાગ્યે થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે નવરાત્રીનો પહેલો દિવસ હોવાથી મંદિરમાં ભક્તોની મોટી ભીડ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના મંદિરના રામપ્યાઉ પાસે થઈ હતી. અકસ્માત બાદ આ બાબતની તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસ અને બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

દુર્ઘટનાનું કારણ શું હતું?
તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે નવરાત્રિ દરમિયાન હેલોજન લાઇટ લગાવવા માટે વપરાતો વીજ વાયર તૂટી ગયો હતો અને લોખંડની રેલિંગ સાથે સંપર્કમાં આવ્યો હતો. જેના કારણે તેને વીજ કરંટ લાગ્યો હતો. કુલ 7 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી એકને વીજ કરંટ લાગ્યો હતો અને નાસભાગને કારણે 6 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા.

રીપેરીંગ બાદ વીજ પુરવઠો ચાલુ થયો
કાલકાજી મંદિરમાં સમારકામ કર્યા બાદ મંદિરમાં વીજ પુરવઠો ચાલુ કરી દેવાયો હતો અને દર્શન પણ શરૂ કરાયા હતા. પોલીસે BNSની કલમ 289, 125(9) અને 106(1) હેઠળ કેસ નોંધ્યો છે અને આ ઘટનાની તપાસ શરૂ કરી છે.