May 19, 2024

UPના મદરેસાના 17 લાખ વિદ્યાર્થીઓને SCએ આપી રાહત

અમદાવાદ: સુપ્રીમ કોર્ટે UP મદરેસા એક્ટને રદ કરવાવાળા અલ્હાબાદ કોર્ટના નિર્ણય પર રોક લગાવી છે. ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચુડની અધ્યક્ષવાળી બેન્ચમાં સુનાવણી કરી. જેમાં સરકાર અને અન્ય પક્ષકારોને નોટિસ આપી હતી. કોર્ટે કહ્યું કે, અમે અલગ અલગ પક્ષને સાંભળ્યું છે. UP સરકાર પણ નિર્ણયના સમર્થનમાં છે. હાઈકોર્ટે તમામ અધિકારોને રદ કરતા આદેશ આપ્યો કે, વિદ્યાર્થીઓને રાજ્ય દ્વારા સ્થાનાંતરિક કરવામાં આવે. તેના કારણે 17 લાખ વિદ્ધાર્થીઓના શિક્ષણ પર અસર પડશે.

વધુમાં કોર્ટે કહ્યું કે, અમારો વિચાર છે કે આ આદેશ પ્રથમ દ્રષ્ટીથી ઉચિત નથી. રાજ્ય સરકાર સહિત બધા પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં 30 જુન, 2024 પહેલા નોટિસનો જવાબ આપવો પડશે. અરજી પર હવે સુનાવણી જૂનના બીજા સપ્તાહમાં કરવામાં આવશે. 22 માર્ચ 2024ના હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવવામાં આવી છે.

આ પહેલા વકીલ અભિષેક મનુ સિંધવીએ કહ્યું કે, વિદ્યાર્થીઓની સંખ્યા 17 લાખ છે. હાઈકોર્ટે પહેલા તેની સ્થિતિમાં ફેરફાર ન કર્યો. એ બાદ તેને ગેરકાનુની જાહેર કરવામાં આવ્યું. હાઈકોર્ટનું કારણ ખુબ જ વિચિત્ર છે. સરકારના કહેવા અનુસાર વિજ્ઞાન, હિન્દી અને ગણિત જેવા વિષયો પણ ભણાવવામાં આવી રહ્યું છે. તેમ છતાં 120 વર્ષ જુની કલમ છે. જેને 1987ના નિયમ અત્યારે પણ લાગુ થાય છે.

‘ધાર્મિક આધાર પર મદરેસા શિક્ષણને ગેરબંધારણીય જાહેર’
તેમણે કહ્યું કે સરકારે 30 મે 2018ના રોજ આદેશ જારી કર્યો હતો. તેમાં મદરેસામાં વિવિધ વિષયો શીખવવાના નિયમો હતા. જેથી મદરેસાઓ પણ હાલની શાળાઓની જેમ શિક્ષણ આપી શકે. મદરેસામાં અભ્યાસક્રમ અન્ય શાળાઓ જેવો જ છે. આમ છતાં હાઈકોર્ટે આપેલો નિર્ણય આશ્ચર્યજનક છે. મદરેસાના શિક્ષણને ધાર્મિક આધાર પર ગેરબંધારણીય જાહેર કરવામાં આવ્યું છે.

‘તમે તમારા એફિડેવિટમાં મદરસા એક્ટનું સમર્થન કર્યું હતું’
સુનાવણી દરમિયાન CJIએ પૂછ્યું કે શું મદરેસાઓ ખાનગી ક્ષેત્ર દ્વારા તૈયાર કરવામાં આવી હતી. તેના પર વકીલે ‘હા’ કહ્યું. એ બાદ CJI એ બીજો પ્રશ્ન પૂછ્યો. તેમણે કહ્યું કે તમે અગાઉ તમારા એફિડેવિટમાં મદરેસા એક્ટનું સમર્થન કર્યું હતું. તેના પર યુપી સરકારે કહ્યું કે હવે જ્યારે હાઈકોર્ટે આ એક્ટને ગેરબંધારણીય જાહેર કર્યો છે તો અમે તેને સ્વીકારીએ છીએ કારણ કે હાઈકોર્ટ બંધારણીય કોર્ટ છે.

‘અમે આ ખર્ચો ઉઠાવી શકતા નથીઃ યુપી સરકાર’
આ સાથે યુપી સરકારે કહ્યું કે અમે આ ખર્ચ ઉઠાવી શકીએ તેમ નથી. મદરેસા એક્ટ-2004 પુનઃસ્થાપિત કરનાર અરજદારના વકીલોએ રાજ્ય સરકારના યુ-ટર્ન સામે વિરોધ કર્યો હતો. હાઈકોર્ટમાં મદરેસા એક્ટને ગેરબંધારણીય જાહેર કરવાની માગણી કરનાર અરજદારના વકીલે કહ્યું કે એવું દર્શાવવામાં આવી રહ્યું છે કે ધાર્મિક વિષયોની બરાબરી પર અન્ય વિષયો ભણાવવામાં આવે છે.

આ પણ વાંચો: સુવિધાઓ ન મળતા હારીજના રહીશોએ આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી

તેણે કહ્યું, આ બીજી રીત છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ પાસે વિજ્ઞાન અને ગણિતનો અલગથી અભ્યાસ કરવાનો વિકલ્પ નથી. આમ, કલમ 28(1) હેઠળ સીધો બંધારણીય અવરોધ છે અને તેઓ હાઈકોર્ટ સમક્ષ સ્વીકારે છે કે ધાર્મિક શિક્ષણ આપવામાં આવે છે. એટર્ની જનરલે CJI બેન્ચ સમક્ષ અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયનું સમર્થન કર્યું હતું.

અમે ધર્મના જાળામાં ફસાઈ ગયા છીએઃ એટર્ની જનરલ
એટર્ની જનરલે કહ્યું કે કોઈપણ સ્તરે ધર્મની સંડોવણી એક શંકાસ્પદ મુદ્દો છે. પ્રશ્ન કોઈ ધોરણનો નથી, હાઈકોર્ટ સમક્ષ રજૂ કરાયેલી હકીકતોમાં હાઈકોર્ટનો આદેશ ખોટો હોવાનું કહી હું મારી જાતને મનાવી શક્યો નહીં. આપણે ધર્મની જાળમાં ફસાઈ ગયા છીએ. ધર્મની કોઈપણ સૂચિતાર્થ અહીં એક પ્રશ્ન છે. યુપી સરકાર હાઈકોર્ટના આદેશ પર પગલાં લઈ રહી છે. યુપી સરકાર પણ આ નિર્ણયના સમર્થનમાં છે. તેમનું કહેવું છે કે તેઓ 96 કરોડ રૂપિયા આપી શકતા નથી.

જાણો શું છે યુપી બોર્ડ ઓફ મદરેસા એજ્યુકેશન એક્ટ-2004
મહત્વનું છેકે, મદરેસા અઝીઝિયા ઈજાજુતુલ ઉલૂમના મેનેજર અંજુમ કાદરીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેણે હાઈકોર્ટની લખનૌ બેંચના નિર્ણયને પડકાર્યો છે. તેમણે કહ્યું છે કે હાઈકોર્ટના નિર્ણયને કારણે મદરેસામાં ભણતા લાખો બાળકોના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ઉભા થયા છે. તેથી આ નિર્ણયને તાત્કાલિક અટકાવવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે પોતાનો ચુકાદો આપતાં યુપી બોર્ડ ઓફ મદરેસા એજ્યુકેશન એક્ટ-2004ને ગેરબંધારણીય જાહેર કર્યો છે. કોર્ટે કહ્યું કે આ કૃત્ય ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતની વિરુદ્ધ છે. યુપી સરકારને નિર્દેશ આપતા કોર્ટે કહ્યું કે મદરેસામાં ભણતા વિદ્યાર્થીઓને મૂળભૂત શિક્ષણ પ્રણાલીમાં સામેલ કરવામાં આવે.

યુપી બોર્ડ ઓફ મદરેસા એજ્યુકેશન એક્ટ-2004 એ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા પસાર કરાયેલ કાયદો હતો. જે રાજ્યમાં મદરેસાઓની શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે બનાવવામાં આવી હતી. આ કાયદા હેઠળ મદરેસાઓએ બોર્ડ તરફથી માન્યતા મેળવવા માટે ચોક્કસ લઘુત્તમ ધોરણોને પૂર્ણ કરવા જરૂરી હતા. બોર્ડે મદરેસાઓને અભ્યાસક્રમ, શિક્ષણ સામગ્રી અને શિક્ષકોની તાલીમ માટે માર્ગદર્શિકા પણ આપી હતી.