September 20, 2024

સપ્તર્ષિએ સ્થાપેલા સાત શિવલિંગ ઓળખાયાં ‘સપ્તેશ્વર મહાદેવ’, સતત થાય છે જળાભિષેક

વિવેક ચુડાસમા, સાબરકાંઠાઃ શ્રાવણ મહિનાના વીસમા દિવસે આપણી શિવાલયયાત્રા પહોંચી ગઈ છે સાબરકાંઠા જિલ્લામાં. અહીં સાબરમતી નદીના કિનારે આવેલું છે એક અલૌકિક શિવાલય ‘સપ્તેશ્વર મહાદેવ’. આવો જાણીએ તેના ઇતિહાસ વિશે…

આ શિવાલય ત્રેતાયુગનું હોવાનું માનવામાં આવે છે. આ સાથે ખગોળવિદ્યા સાથે આ મંદિર સંકળાયેલું છે. ગુજરાત રાજ્યના ઈશાન ભાગમાં આવેલા આ શિવાલય પાસે ડેભોલ નદી અને સાબરમતી નદીનું સંગમ સ્થાન છે. આ ઉપરાંત અહીં એક કુંડ પણ આવેલો છે. મંદિરમાં શિવલિંગ ઉપર સતત ગૌમુખમાંથી નદીનાં પાણીની જળાધારી થતી રહે છે અને આ પાણી વહીને બહારનાં કુંડમાં એકત્ર થાય છે. મંદિરમાં દર્શન માટે જવું હોયતો પણ પાણીમાં અડધા ડુબેલાં રહીને જવું પડે છે.

શું છે પૌરાણિક કથા?
શિવાલયના નામ પરથી જ જાણી શકાય છે કે, તેને સપ્તર્ષી સાથે સંબંધ હશે. ત્યારે એક દંતકથા પ્રમાણે, આ જગ્યાએ સાત ઋષિઓએ તપશ્ચર્યા કરી હતી. આ સપ્તર્ષિ એટલે કશ્યપ મુનિ, વશિષ્ઠ મુનિ, વિશ્વામિત્ર મુનિ, ભારદ્વાજ મુનિ, અત્રિ મુનિ, જમદગ્નિ મુનિ અને ગૌતમ ઋષિ. આ સપ્તર્ષિએ આ જગ્યાએ શિવલિંગની સ્થાપના કરી હતી અને શિવજીની આરાધના કરી હોવાની માન્યતા છે. આ ઋષિઓ હિંદુ ધર્મની અનેક પૌરાણિક કથાઓ સાથે સંબંધ ધરાવે છે. સપ્તનાથ એટલે કે સપ્તેશ્વર મહાદેવના મંદિરમાં સાતેય શિવલિંગ અલગ અલગ રીતે એવાં ગોઠવાયેલા છે કે, જાણે આકાશમાં સપ્તર્ષિ તારાજૂથ ગોઠવાયેલું હોય!

આ શિવાલયને સ્થાનિક બોલીમાં ‘હાતેરા’ (સાતેરા) કહે છે અને આકાશમાં આવેલા સપ્તર્ષિના તારાઓને પણ અહીંની લોકબોલીમાં હાતેરા (સાતેરા) કહે છે. લોકબોલીમાં વૃદ્ધ માણસો આજે પણ હાતેરા જ બોલે છે.

કેવી રીતે પહોંચવું?
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાનાં અરસોડીયા ગામની નજીક એકાદ-બે કિમી જેટલા અંતરે આવેલું છે. આ મંદિર સાબરકાંઠા જિલ્લા અને મહેસાણા જિલ્લાની સરહદ ઉપર આવેલું છે. અહીં જવા માટે સડક માર્ગે બસની સુવિધા ઉપલબ્ધ હોય છે. જ્યારે ટ્રેન માર્ગે પણ અહીં પહોંચી શકાય છે. ઇડર કે મહેસાણાથી અહીં પહોંચવા માટે રિક્ષા કે ટેક્સીની સુવિધા પણ મળી રહે છે.