સાબરકાંઠામાં UGVCLની વધુ એક બેદરકારી, લાલોડા રોડ પર આવેલા ખેતરમાં આગ; પાક બળીને ખાખ

સાબરકાંઠાઃ જિલ્લામાં UGVCLની વધુ એક બેદરકારી સામે આવી છે. ઈડરના લાલોડા રોડ પર આવેલા ઘઉંના ખેતરમાં આગ લાગી હતી. ત્યારે આગ લાગતા ખેતરમાં ઉભેલો પાક બળીને ખાખ થઈ ગયો છે અને ખેડૂતને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે.
બપોરના સમયે ઘઉંના પાકમાં આગ લાગતા ખેડૂતને મોટું નુકસાન થયું છે. વીજલાઈનમાં બેદરકારીને પગલે આગ લાગતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. મોહનભાઈ નરસાભાઈ પટેલના ખેતરમાં આગ લાગવાની ઘટના બની હતી.
ખેડૂતોને નુકસાનીના પગલે વળતર ચૂકવવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. UGVCLની બેદરકારીને પગલે જિલ્લામાં તૈયાર પાકમાં આગના બનાવો વધ્યા છે. ખેડૂતોના મોમાં આવેલો કોળીયો આગમાં સ્વાહા થતા ખેડૂતોની હાલત કફોડી બની હતી. આ ઘટનાની જાણ થતા જ ફાયરવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.