September 12, 2024

સરકારી ગોડાઉનમાં સડી ગયું અનાજ, ગરીબોને ફાળવાઈ જીવાતવાળી તુવેરદાળ

મહેસાણા: રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી રાંધેલી ખાદ્ય ચીજવસ્તુઓમાં જીવાત ઇયળ નીકળવાના અનેક કિસ્સાઓ અનેક સામે આવ્યા છે. પરંતુ, મહેસાણા જિલ્લામાં તો ખાટલે જ મોટી ખોટ હોવાનું સામે આવ્યું છે. મહેસાણા જિલ્લામાં સરકારી અનાજના ગોડાઉનમાંથી ફાળવવામાં આવેલ અનાજમાંથી જીવાત નીકળી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

મળતી માહિતી મુજબ, મહેસાણા જિલ્લામાં સરકારી અનાજના ગોડાઉનમાંથી જીવાતવાળો અનાજનો જથ્થો ફાળવાયો હોવાનો આક્ષેપ થયો છે. જાણવા મળી રહ્યું છે કે સરકારી અનાજના ગોડાઉનમાં રાખવામાં આવેલ તુવેરદાળમાં જીવાત હોવા છતા જથ્થો ફાળવાયો હોવાની બુમરાણ ઉઠી છે.

સરકારી સસ્તા અનાજની દુકાનોમાં તુવેરદાળ પાવડર બની ગઈ હોવાની ફરિયાદ થઈ રહી છે. એટલું જ નહિ. ગોડાઉનમાં જ અનાજ સદી ગયું હોવાની વિગત સામે આવી છે. વધુમાં, સડી ગયેલા અને જીવાત પડી ગયેલો તુવેરદાળનો જથ્થો ફાળવી દેવામાં આવતા લોકોમાં રોષ ફળી નીકળ્યો છે.