September 20, 2024

અમેરિકામાં રાહુલ ગાંધીએ શીખો વિશે એવું તો શું કહ્યું, જેના પર BJPના નેતાઓ થયા ગુસ્સે

Rahul Gandhi on Sikhs: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકા પ્રવાસ પર પોતાના ભાષણોને કારણે ભારતમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નિશાના પર છે. ભાજપના નેતાઓ તેમના નિવેદનોની સતત ટીકા અને પ્રહારો કરી રહ્યા છે. આ દરમિયાન ભાજપના એક નેતાએ રાહુલ ગાંધીને કોર્ટમાં લઇ જવાની ધમકી પણ આપી છે.

શીખોને લઈને રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા આરપી સિંહે કહ્યું છે કે, “દિલ્હીમાં 3000 શીખોની હત્યા કરવામાં આવી હતી, તેમની પાઘડીઓ ઉતારી દેવામાં આવી હતી, તેમના વાળ કાપી નાખવામાં આવ્યા હતા અને દાઢી મુંડાવવામાં આવી હતી. તેઓ (રાહુલ ગાંધી) એવું નથી કહેતા કે તેઓ (કોંગ્રેસ) સત્તામાં હતા ત્યારે આવું થયું હતું. હું રાહુલ ગાંધીને પડકાર ફેંકું છું કે તેઓ શીખો વિશે જે કહે છે તે ભારતમાં ફરી પુનરાવર્તન કરે… હું તેમની સામે કેસ કરીશ. હું તેમને કોર્ટમાં લઈ જઈશ.”

રાહુલ ગાંધીએ શું કહ્યું?
રાહુલ ગાંધીએ વર્જીનિયામાં ભારતીય મૂળના લોકોને સંબોધિત કરતા કહ્યું હતું કે સૌથી પહેલા તમારે સમજવું પડશે કે લડાઈ શું છે. લડાઈ રાજકારણ માટે નથી.. તમારું નામ શું છે? લડાઈ એ વિશે છે કે શું… એક શીખ તરીકે તેને ભારતમાં પાઘડી પહેરવાની મંજૂરી આપવામાં આવશે અથવા શીખ તરીકે તેને ભારતમાં કડા પહેરવાની મંજૂરી આપવામાં આવશે… અથવા કોઈ શીખ ગુરુદ્વારા જઈ શકે છે. ખરા અર્થમાં, લડાઈ આના વિશે છે અને માત્ર આ માટે નહીં, પરંતુ તમામ ધર્મો માટે છે.”

ભાજપના અનેક નેતાઓએ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે
તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી ત્રણ દિવસીય અમેરિકા પ્રવાસ પર છે. ત્યાં તેઓ ભારતીય મૂળના લોકોને મળી રહ્યા છે અને સંબોધિત કરી રહ્યા છે. રાહુલે ત્યાંની ભાજપ, આરએસએસ અને મોદી સરકાર પર પણ પ્રહારો કર્યા છે. ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓએ આ અંગે તેમના પર પ્રહારો કર્યા છે. ગિરિરાજ સિંહે તો ત્યાં સુધી કહ્યું કે રાહુલ ગાંધીને જવાબ આપવાનો અર્થ મૂર્ખને જવાબ આપવો.