February 23, 2025

વિકસિત ભારતની યાત્રામાં પાવર ઈન્ડસ્ટ્રીએ ઈનોવેટિવ સોલ્યુશન્સ લાવવા પડશે: કેન્દ્રીય ઉર્જા મંત્રી

Innovative Solutions: કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહર લાલે આજે ઉદ્યોગપતિઓને વિકસિત ભારત તરફ દેશની યાત્રાને મજબૂત બનાવવા માટે ઈનોવેટિવ સોલ્યુશન્સ પર કામ કરવા વિનંતી કરી. ગ્રેટર નોઇડામાં ઉદ્યોગ સંસ્થા IEEMA દ્વારા આયોજિત ‘Elecrama-2025’ કાર્યક્રમને સંબોધતા મંત્રીએ કહ્યું, 2030 સુધીમાં 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનો ભારતનો મહત્વાકાંક્ષી લક્ષ્ય વિવિધ તકો પ્રદાન કરે છે. મંત્રીએ કહ્યું કે દેશના વિકાસમાં પાવર સેક્ટર મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. તેમણે કહ્યું કે ઉદ્યોગના હિતધારકોએ આ ક્ષેત્રને ભારતનું ગ્રોથ એન્જિન બનાવવા માટે કામ કરવું જોઈએ. તેમણે સહભાગીઓને કહ્યું, “ભારતમાં વીજળીનું ભવિષ્ય સારું છે. આ યાત્રામાં આપણે નવીન રીતે ઉત્પાદન વધારવાની જરૂર છે.

રિન્યુએબલ એનર્જીનો લાભ લેવા માટે અદ્યતન પાવર ઇલેક્ટ્રોનિક્સ, વધુ સારા ટ્રાન્સફોર્મર્સ, પાવર કન્વર્ટર, સ્માર્ટ ગ્રીડ સોલ્યુશન્સ વિકસાવવાની જરૂર છે.” સહભાગીઓમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ અને રોકાણકારો શામેલ હતા. મનોહર લાલે કહ્યું કે આ ક્ષેત્ર દેશના અર્થતંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે અને સરકાર તેનો હિસ્સો વધારવા માટે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે ઉદ્યોગ ઉચ્ચ કાર્યક્ષમતા ટ્રાન્સમિશન, વિતરણ સાધનો અને GIS સબ સ્ટેશનો વિકસાવવા પર કામ કરી શકે છે, જે ગ્રીડના આધુનિકીકરણ તરફ દોરી જશે.

EV ચાર્જિંગ ફ્રેમવર્ક એ સમયની જરૂરિયાત છે
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ઉત્સર્જન ઘટાડવા માટે EV ચાર્જિંગ ફ્રેમવર્ક એ સમયની જરૂરિયાત છે. મંત્રીએ કહ્યું કે ઈ-ટ્રાન્સપોર્ટેશન એક મોટી તક છે. તેમણે કહ્યું કે બેટરી બદલવાના સ્ટેશન, ફાસ્ટ ચાર્જર, વ્હીકલ ટુ ગ્રીડ સિસ્ટમ વિકસાવવાની જરૂર છે. ઇન્ડસ્ટ્રીએ ઇનોવેટિવ સોલ્યુશન્સને પ્રોત્સાહન આપવા માટે રિસર્ચ અને ડેવલપમેન્ટ પર કામ કરવું જોઇએ. રોકાણકારોને શક્ય તમામ સહાયની ખાતરી આપતાં તેમણે કહ્યું કે ઉદ્યોગે સરકારી યોજનાઓ અને પહેલનો લાભ લેવો જોઈએ. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જો ઉદ્યોગ અને સરકાર સાથે મળીને કામ કરે તો 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતાનો લક્ષ્‍યાંક સરળતાથી હાંસલ કરી શકાય છે.