પાટણમાં બહુચર માતાજીની ભવ્ય પાલખી યાત્રા નીકળી, માનવ મહેરામણ ઊમટ્યું

ભાવેશ ભોજક, પાટણ: વસંત પંચમીના દિવસે પાટણ શહેરમાં મોઢ મોદી ઘાંચી સમાજ દ્વારા બહુચર માતાના મંદિરથી પરંપરાગત રીતે માતાજીની પાલખી યાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી. જય બહુચરના નાદ સાથે નીકળેલી પાલખી યાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. જેને લઇ સમગ્ર વાતાવરણ મા બહુચરના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
પાટણ શહેરના રાજકાવાડા વિસ્તારમાં આવેલી રામશેરી ખાતે શ્રી બાળા બહુચર માતાનું મંદિર આવેલું છે. આ મંદિર પાટણ મોઢ મોદી ઘાંચી સમાજ ના કુળદેવીનું છે. ત્યારે આ મંદિર પરિસરથી દર વર્ષે વસંત પંચમીના દિવસે પરંપરાગત રીતે મા બહુચરની ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે માતાજીના સ્થાનકે થી હર્ષોલ્લાસ સાથે પાલખી યાત્રા નીકળી હતી. જય બહુચરના નાદ સાથે પ્રસ્થાન પામેલી પાલખી યાત્રા શહેરના રાજમાર્ગો ઉપર વાજતે ગાજતે નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ, આગેવાનો જોડાયા હતા. શહેરના વિવિધ માર્ગો ઉપર નગરજનો દ્વારા પાલખી યાત્રાનું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં શાંતિ અને સુલેહનું વાતાવરણ બની રહે તે માટે મોદી સમાજના લોકોએ માતાજી સમક્ષ પ્રાર્થના પણ કરી હતી.
સમાજના આગેવાનો દ્વારા પાલખીયાત્રામાં વિવિધ રાસ મંડળીઓ, રથ, શણગારેલા ઊંટ, બે બગી તેમજ વિવિધ ટેબલો રાખવામાં આવ્યા હતા. તથા જાહેર માર્ગો ઉપર નાસ્તા, શરબત અને પ્રસાદના સ્ટોલ સેવાભાવી લોકો દ્વારા ઉભા કરાયા હતા.