October 16, 2024

પંચમહાલની જીવાદોરી સમાન ચેકડેમ ક્ષતિગ્રસ્ત, ખેડૂતોની વહેલી તકે રિપેર કરવા માગ

પંચમહાલઃ જિલ્લાના કાલોલ તાલુકાની જીવાદોરી સમાન કરાડ અને ગોમા નદી પર બનાવવામાં આવેલા 2 ચેકડેમો ક્ષતિગ્રસ્ત બનતા ખેડૂતો હાલ પાણી વિના ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ ખેડૂતો આ બંને ચેકડેમને વહેલી તકે રીપેર કરવામાં આવે અથવા નવીન બનાવવામાં આવે તેવી સરકાર પાસે માગણી કરી રહ્યા છે.

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના બરોલા-મધવાસ ગામ પાસેથી પસાર થતી કરાડ નદી પર બનાવવામાં આવેલો મોટો ચેકડેમ છેલ્લા બે ચોમાસાની ઋતુમાં નદીમાં આવેલા પાણી ભારે પ્રવાહને લઈને તૂટી જવા પામ્યો હતો. જેને લઈને ચેકડેમમાં સંગ્રહાયેલું પાણી નદીમાં વહી જવા પામ્યું હતું અને પાણીના ધસમસતા પ્રવાહને લઈને જમીનનું પણ ભારે ધોવાણ થવા પામ્યું હતું. ચેકડેમ તૂટી જવાને આજે બે વર્ષથી વધુ સમય વીતવા છતાં પણ સિંચાઈ વિભાગ દ્વારા હજુ સુધી સ્થળની તપાસ સુદ્ધા કરવામાં આવી નથી.

બીજી તરફ કાલોલ તાલુકાના રામનાથ ગામ પાસેથી પસાર થતી ગોમા નદી પર બનાવવામાં આવેલા મોટા ચેકડેમનો પણ એકભાગ ચોમાસાની સિઝનમાં તૂટી જવા પામ્યો હતો. ત્યારે સંગ્રહાયેલું પાણી નદીમાં વહી જવા પામ્યું હતું, તેમજ આ ચેકડેમમાં પાણીનો સંગ્રહ થાય અને જેને લઈને બાકી રહેલા પાણીને વહેતું અટકાવી શકાય. જો કે, બાદમાં સિંચાઈ વિભાગ દ્વારા કામચલાઉ ચેકડેમના તૂટેલા ભાગનું સમર કામ કરવામાં આવ્યું હતું. પરંતુ બંને ચેકડેમમાં પાણીનો સંગ્રહ હાલમાં ન હોવાને લઈને ખેડૂતોને સિંચાઈનું પાણી હાલ મળી રહ્યું નથી.

ભૂગર્ભ જળસ્તર પણ નીચે જવાને લઈને પશુપાલન કરતા ખેડૂતોને પણ હાલ પાણી વિના ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હાલ ખેડૂતો માગ કરી રહ્યા છે સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે આ ચેકડેમોનું સમારકામ કરવામાં આવે. જેથી કરીને આગામી શિયાળાની સિઝનમાં પાણીનો સંગ્રહ થઈ શકે અને ખેડૂતોને સિંચાઈનો લાભ મળી શકે.