September 17, 2024

પાકિસ્તાને પહેલીવાર કારગિલ યુદ્ધમાં પોતાની ભૂમિકાનો સ્વીકાર કર્યો

Pakistan Army Chief: પહેલીવાર પાકિસ્તાની સેનાએ ભારત વિરુદ્ધ 1999ના કારગિલ યુદ્ધમાં પોતાની ભૂમિકાનો જાહેરમાં સ્વીકાર કર્યો છે. પાકિસ્તાનના સંરક્ષણ દિવસ નિમિત્તે રાવલપિંડીમાં આયોજિત એક કાર્યક્રમમાં પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે કહ્યું કે 1965, 1971 અને 1999માં કારગિલ યુદ્ધ લડતા આપણા ઘણા સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો.

કાર્યક્રમમાં બોલતા આર્મી ચીફે કહ્યું, ‘1948, 1965, 1971 કે 1999નું કારગિલ યુદ્ધ હોય, હજારો સૈનિકોએ પાકિસ્તાન અને ઈસ્લામ માટે બલિદાન આપ્યું છે.’ નોંધનીય છે કે, પાકિસ્તાની સેનાએ ક્યારેય જાહેરમાં કારગિલ યુદ્ધમાં તેની સીધી ભૂમિકાનો સ્વીકાર કર્યો નથી. તે હંમેશા સત્તાવાર રીતે દાવો કરે છે કે તે ‘મુજાહિદ્દીન’નું કામ હતું.

કારગીલમાં પાકિસ્તાનને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો
1999ના યુદ્ધમાં પાકિસ્તાનને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. લદ્દાખમાં લગભગ ત્રણ મહિનાની લડાઈ બાદ ભારતીય સૈનિકોએ ટાઈગર હિલ સહિત કારગીલ સેક્ટરમાં એલઓસીની ભારતીય હિસ્સા પર ઘૂસણખોરો દ્વારા કબજે કરેલી સ્થિતિને સફળતાપૂર્વક ફરીથી કબજે કરી લીધી હતી.

545 જવાનો શહીદ થયા હતા
તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને પણ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને કારગિલ સેક્ટરમાંથી તેમની સેનાની ટુકડીઓ હટાવવા માટે કહ્યું હતું. ‘કારગિલ વિજય દિવસ’ યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની જીતની યાદમાં ઉજવવામાં આવે છે. પાકિસ્તાની ઘૂસણખોરો સામે લડતા લડતા કુલ 545 જવાનોએ બલિદાન આપ્યું હતું.

પાકિસ્તાને મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો
ભારતે હંમેશા કહ્યું છે કે આ ઓપરેશન કાશ્મીર પર પોતાનો દાવો દર્શાવવાની પાકિસ્તાનની રણનીતિ હતી. કારગીલમાં પાકિસ્તાની સેનાની ભૂમિકાને સાબિત કરવા માટે ભારત પાસે ઘણા પુરાવા છે, જેમાં યુદ્ધ કેદીઓ, તેમના યુનિફોર્મ અને હથિયારોનો સમાવેશ થાય છે. યુદ્ધ પછી, ભારતીય સેનાએ કારગીલમાં ઘણા મૃત પાકિસ્તાની સૈનિકોને દફનાવી દીધા. પાકિસ્તાની સેનાએ કારગીલમાં માર્યા ગયેલા સૈનિકોના મૃતદેહ લેવાનો ઈન્કાર કરી દીધો હતો. સત્તાવાળાઓએ યુદ્ધમાં માર્યા ગયેલા પાકિસ્તાની અધિકારીઓના મૃતદેહો ગુપ્ત રીતે મંગાવ્યા હતા.