July 5, 2024

સુરતના વરાછામાં પ્રેમ પ્રકરણ મામલે વધુ એક યુવકની હત્યા

અમિત રૂપાપરા, સુરત: સુરતમાં દિવસેને દિવસે હત્યાના બનાવો વધી રહ્યા છે. આજે ફરીથી સુરત શહેરમાં બે હત્યાના બનાવ બન્યા છે. વરાછા અને લીંબાયતમાં થેયલી બને હત્યામાં પ્રેમ પ્રકરણ જ સામે આવ્યું છે. વરાછા વિસ્તારમાં આવેલ ગીતા નગર સોસાયટીમાં રહેતો મેહુલ સોલંકીને તેમની જ બાજુમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. જે મામલે યુવતીના પરિવારજનોને જાણ થતા તેમણે મકાન ફેરવી અલગ જગ્યાએ રહેવા ગયા હતા. તેમ છત્તા આ બન્ને એકબીજા સાથે કોન્ટેક્ટમાં જોડાયેલા હતા. જેમાં ગીતા નગરની બાજુમાં આવેલી માધવપાર્ક સોસાયટીમાં પ્રેમિકાની બહેનપણી રહેતી હતી, જેથી પ્રેમિકા તેમની બહેનપણીને ત્યાં આવી અને તેમના પ્રેમી મેહુલ સોલંકીને મળવા બોલાવ્યો હતો.

મેહુલને તેમની બહેનપણીને ત્યાં બોલાવ્યો તે દરમ્યાન પ્રેમિકાના ભાઈઓને શંકા જતા તેઓ પણ બહેનપણીના ઘરે આવ્યા હતા. જ્યાં આ બંને સાથે મળ્યા હતાં, જેથી પ્રેમિકાના ભાઈઓ અને મામાએ પ્રેમી મેહુલ સોલંકીને બેલ્ટ અને ફટકા વળે ઢોરમાર માર્યો હતો. તે દરમ્યાન મેહુલના મિત્ર પાર્થ વાઘેલાને પ્રેમિકાની બહેનપણીએ કોલ કરી તેમના મિત્રને માર મારે છે તેવું જણાવતા તેમનો મિત્ર પાર્થ ઘટના સ્થળે પહોંચી ગયો હતો, પરંતુ પાર્થે મેહુલને માર મારવાનીના કહેતા પાર્થને પણ મારવાની ધમકી આપવામાં આવી જેથી પાર્થ નીચે આવી ગયો હતો, ત્યારબાદ તેમનો મિત્ર બેભાન થઈ ગયો હતો. જેથી તાત્કાલિક તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ વધુ પડતો માર મારવાના કારણે મૂઢ ઇજા થવાથી મેહુલનું મોત થયું હતું. આ સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.