May 17, 2024

આવતીકાલથી નર્મદા મૈયાની ઉત્તરવાહિની પરિક્રમાની શરૂઆત, તંત્ર સજ્જ

narmada river uttarvahini prikrama start from 8 april

પ્રવિણ પટવારી, રાજપીપળાઃ નર્મદા મૈયાની ઉત્તરવાહીની પરિક્રમા આવતી કાલથી શરૂ થઈ રહી છે. ત્યારે એક મહિનો ચાલનારી આ પરિક્રમામાં આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરતી કાળજી સાથે વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે. નર્મદા પરિક્રમાનો રૂટ પણ યથાવત્ જ રહેશે. પરિક્રમા શરૂ થવાના પૂર્વે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા દ્વારા શનિવારે સાંજે સ્થળ પર જઈ રામપુરા ઘાટ અને શહેરાવ ઘાટે નાવડીઓની કરાયેલી સુવિધાઓ, શ્રદ્ધાળુઓ માટે વિસામો, પરિક્રમા પથ સહિત સુરક્ષા વ્યવસ્થા અંગેની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. તેમજ નાવડી સંચાલકો અને શ્રદ્ધાળુઓ માટે સુવિધાની કામગીરી કરી રહેલી એજન્સીના પ્રતિનિધિઓ સાથે જરૂરી ચર્ચા કરી કેટલાક સૂચનો કર્યા હતા.

નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ પરિક્રમા અર્થે આવતા ભાવિક ભક્તોને અપીલ કરતા જણાવ્યું હતું કે, ‘આ પરિક્રમા 8મી એપ્રિલથી શરૂ થવાની છે. ત્યારે અહીં આવતા શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ માહોલમાં પરિક્રમા શરૂ કરે અને શાંતિપૂર્ણ માહોલમાં પરિક્રમા પૂર્ણ કરીને જાય. વહીવટી તંત્ર દ્વારા પૂરતી માત્રામાં નાવડીઓની સુવિધા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ માટે નાવડી સંચાલન, પાર્કિંગ, આરોગ્ય, સલામતી, છાંયડો, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ બેબી ફિડીંગ રૂમ, કન્ટ્રોલ રૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ભાવિકો પણ વહીવટી તંત્રને પૂરતો સહયોગ આપે.’

નર્મદા પરિક્રમામાં 50 મોટી સુવિધા સજ્જ લાઇફ જેકેટ સાથે બોટ નર્મદા નદીમાં ફરશે અને પરિક્રમાવાસીઓને એક જગ્યાથી બીજા છેડે ઉતારશે. 30 લાખથી વધુ પરિક્રમાવાસીઓ આવે તેવી શક્યતા છે. જેને લઈને તંત્ર સજ્જ થઈ ગયું છે અને તમામ તૈયારીઓ પૂરી કરી નાંખી છે.