July 5, 2024

વન નેશન વન ઇલેક્શન-UCCથી લઈને ‘મોદી સરકાર 3.0’ આ મોટા નિર્ણયો લે તેવી શક્યતા

નવી દિલ્હીઃ રવિવારે દેશમાં નવી સરકારની રચના થશે. નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. લગભગ છ દાયકા પછી આ પ્રથમ વખત બનશે, જ્યારે કોઈ નેતા સતત ત્રીજી વખત વડાપ્રધાન બનશે. નરેન્દ્ર મોદીની શપથવિધિ સાથે જ તેમના નેતૃત્વમાં ત્રીજી સરકાર કામ કરવાનું શરૂ કરશે.

મોદી સતત કહેતા રહ્યા છે કે, તેમનો ત્રીજો કાર્યકાળ મોટા નિર્ણયોથી ભરેલો હશે. છેલ્લા 10 વર્ષનું કામ માત્ર ટ્રેલર છે. જ્યારે તેઓ NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા ત્યારે પણ તેમણે આ વાતનું પુનરાવર્તન કર્યું હતું. મોદીના બીજા કાર્યકાળમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા, રામ મંદિરનું નિર્માણ, નાગરિકતા કાયદાનો અમલ જેવા મોટા નિર્ણયો કર્યા છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં એક પ્રશ્ન પણ છે કે, એનડીએ સરકાર આ વખતે કયા મોટા અને કઠિન નિર્ણયો લઈ શકે છે, આવો જાણીએ…

આ પણ વાંચોઃ ગુજરાતમાંથી આ ચાર સાંસદ મંત્રીપદના શપથ લેશે, શાહ-માંડવિયા રિપિટ

વન નેશન, વન ઇલેક્શન
લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપના મેનિફેસ્ટોમાં ‘એક દેશ, એક ચૂંટણી’નું વચન આપવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી સહિત ભાજપના તમામ મોટા નેતાઓ તેનો અમલ કરવાની હિમાયત કરી રહ્યા છે. હકીકતમાં નરેન્દ્ર મોદીએ 2019ના સ્વતંત્રતા દિવસે ‘એક દેશ, એક ચૂંટણી’નો ઉલ્લેખ કર્યો હતો. ત્યારથી ભાજપ ઘણા પ્રસંગોએ ‘એક દેશ, એક ચૂંટણી’ની વાત કરે છે. હકીકતમાં વન નેશન વન ઇલેક્શન પર ચર્ચા 2018માં કાયદા પંચના ડ્રાફ્ટ રિપોર્ટ બાદ શરૂ થઈ હતી. તે અહેવાલમાં આર્થિક કારણોની ગણતરી કરવામાં આવી હતી. પંચે કહ્યું કે, 2014માં લોકસભા ચૂંટણીનો ખર્ચ અને ત્યારપછીની વિધાનસભા ચૂંટણીનો ખર્ચ લગભગ સરખો હતો. ત્યારે જો એકસાથે ચૂંટણી યોજવામાં આવે છે, તો આ ખર્ચને 50:50ના ગુણોત્તરમાં વહેંચવામાં આવશે.

હાલમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિએ પોતાનો રિપોર્ટ પણ રાષ્ટ્રપતિને સોંપ્યો છે. હવે ત્રીજી ટર્મમાં એનડીએ સરકાર તેને લાગુ કરવાનો આગ્રહ રાખી શકે છે. એનડીએ સરકારમાં મુખ્ય પક્ષ બનેલી જેડીયુએ પણ આ અંગે પોતાનું સમર્થન જાહેર કર્યું છે.

આ પણ વાંચોઃ નરેન્દ્ર મોદીનાં નામે અનેક રેકોર્ડ્સ, શપથ લીધા પછી રચાશે નવો ઇતિહાસ

સમાન નાગરિક સંહિતા – UCC
સમગ્ર દેશમાં દરેક માટે સમાન નાગરિક સંહિતા બનાવવી ભાજપના એજન્ડામાં છે. પાર્ટીએ 2024ના મેનિફેસ્ટોમાં આ વિષય રાખ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ 2022માં યોજાયેલી ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં તેને મુદ્દો બનાવ્યો હતો અને ચૂંટણી જીત્યા બાદ તેનો અમલ પણ કર્યો હતો. હવે ભાજપની આગેવાની હેઠળના NDAના ત્રીજા કાર્યકાળમાં કોમન સિવિલ કોડને આગળ વધારવા પર ભાર મૂકવામાં આવી શકે છે. જો કે, આ માટે સાથી પક્ષો પાસેથી સમર્થન મેળવવું એક મોટો પડકાર હશે. UCCના મામલે JDUએ પણ કહ્યું છે કે, આમાં દરેકનો અભિપ્રાય જરૂરી છે.

UNACના કાયમી સભ્યપદ પર ભાર વિદેશ નીતિમાં
નરેન્દ્ર મોદીએ ઘણી વખત તેમના ભાષણોમાં વૈશ્વિક નેતા તરીકે ભારતની સ્થિતિ મજબૂત કરવા પર ભાર મૂક્યો છે. તેમના ત્રીજા કાર્યકાળમાં મોદીના વિદેશ નીતિના ધ્યેયો ભારતની લાંબા સમયથી રાહ જોવાતી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના કાયમી સભ્યપદને સાકાર કરવાનો રહેશે. વિદેશ નીતિના મોરચે, સરકાર UNSC સભ્યપદ પર ધ્યાન કેન્દ્રિત કરશે, પરંતુ આ પ્રયાસમાં UN સુધારણા પણ સામેલ હશે. UNSCમાં સુધારો કરવો એ એક મોટો પડકાર હશે. કારણ કે, કાયમી સભ્ય ચીને તેમાં ભારતના સમાવેશનો વારંવાર વિરોધ કર્યો છે.

આરોગ્ય ક્ષેત્રે આયુષ્માન ભારતનું વિસ્તરણ
ત્રીજી ટર્મમાં કેન્દ્ર સરકારની મુખ્ય આરોગ્ય વીમા યોજના આયુષ્માન ભારત મોટા કદમાં જોવા મળી શકે છે. નરેન્દ્ર મોદી ચૂંટણી કાર્યક્રમોમાં કહેતા આવ્યા છે કે, ત્રીજી ટર્મમાં મોટા નિર્ણયોની ‘મોદીની ગેરંટી’ પૂરી થશે. ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ ભાજપના કાર્યકર્તાઓને સંબોધતા મોદીએ ભવિષ્ય માટે તેમના વિઝનની રૂપરેખા આપી હતી. મોદીએ આયુષ્માન ભારત હેઠળ મફત આરોગ્ય સંભાળની અભૂતપૂર્વ પહોંચ પર ભાર મૂક્યો હતો.

આ ઉપરાંત, બીજેપીના 2024ના મેનિફેસ્ટોમાં 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો અને ટ્રાન્સજેન્ડર સમુદાયનો સમાવેશ કરવા માટે આયુષ્માન ભારતનું કવરેજ વિસ્તારવાનું વચન પણ આપવામાં આવ્યું છે.