September 8, 2024

નડિયાદ-સાળંગપુરની અનોખી બસ, આરતીથી માંડીને દેશભક્તિના ગીતો વગાડાય છે

યોગીન દરજી, નડિયાદઃ એસટીને સલામત સવારી તરીકે તો ઓળખવામાં આવે જ છે. પરંતુ આ એસટીની સેવા હવે ભક્તિરસ પણ પૂરો પાડી રહી છે. નડિયાદથી સાળંગપુર રૂટની બસમાં કંડકટર દ્વારા એવી ખાસ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેના કારણે આ બસમાં મુસાફરી કરવા માટે યાત્રાળુઓ આકર્ષાય રહ્યા છે.

નડિયાદથી સાળંગપુર સ્પેશિયલ બસ દોડાવવામાં આવી રહી છે. આ બસમાં કંડક્ટર તરીકે સંદીપ બારોટ નામના વ્યક્તિ ફરજ બજાવે છે. સંદીપભાઈ દરરોજ કંડક્ટર બસમાં બેસતાંની સાથે જ હનુમાન દાદાને ફૂલોનો હાર ચડાવે છે. દાદાને હાર ચડાવ્યા બાદ બસમાં દેશભક્તિનો રંગ શરૂ થાય છે. ત્યારબાદ ભગવાનની આરતી પણ કરવામાં આવે છે.

બસના ડ્રાઇવર અને કંડક્ટરની કર્મનિષ્ઠાને કારણે આ બસને ખાસ ઓળખ મળી છે. રાજ્યના વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ તેમની કામગીરી બિરદાવવામાં આવી છે.