September 20, 2024

કોંકણી સમુદાય પર ટિપ્પણી કરીને અઘરો ફસાયો મુનાવર ફારૂકી, માંગવી પડી માફી

Munawar Faruqui Controversy: સતત વિવાદોમાં રહેતા સ્ટેન્ડઅપ કોમેડિયન અને ‘બિગ બોસ’ સીઝન 17ના વિનર મુનાવર ફારૂકીને લઈને ફરી એક વાર વિવાદ ઊભો થયો છે. મુનાવરે તાજેતરમાં મહારાષ્ટ્રના કોંકણી સમુદાયના લોકો માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો, ત્યારબાદ, સોશિયલ મીડિયામાં એક વર્ગે તેનો વિરોધ શરૂ કર્યો હતો. લોકોનો વધતો ગુસ્સો જોઈને સ્ટેન્ડઅપ કોમેડિયનને માફી માંગવી પડી છે.

મુનાવર ફારૂકી થોડા દિવસ પહેલા એક કોમેડી શોમાં કોંકણી સમુદાય પર અયોગ્ય ટિપ્પણીઓ કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે કહ્યું હતું કે, ‘કોંકણી લોકો બીજાને મૂર્ખ બનાવે છે.’ આ સાથે તેણે અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. મુનાવરની આ કોમેન્ટ તેમને ઘણી મોંઘી પડી અને સોશિયલ મીડિયા પર યુઝર્સ તેને ટ્રોલ કરવા લાગ્યા.

શિવસેનાના ધારાસભ્ય સદા સરવણકરના પુત્ર સમાધાને આક્રોશ વ્યકત કરતાં કહ્યું હતું કે, ‘જો મુનવ્વર કોંકણી લોકોની માફી નહીં માંગે તો આ પાકિસ્તાન પ્રેમી જ્યાં પણ દેખાશે ત્યાં કચડી નાખવામાં આવશે.’ ભાજપના નેતા નીતીશ રાણેએ સ્ટેન્ડઅપ કોમેડિયનને ચેતવણી આપી હતી કે, ‘આ લીલો સાપ બહુ બોલવા લાગ્યો છે. કોંકણી સમુદાયના લોકોની મજાક ઉડાવનાર વ્યક્તિનું ઘરનું સરનામું છે અમારી પાસે અને જલ્દી એને પાઠ ભણાવવામાં આવશે.

સોશિયલ મીડિયા પર પણ મુનાવર ફારુકી સામે વિરોધ શરૂ થયો, જેને જોઈને સ્ટેન્ડઅપ કોમેડિયન ઘૂંટણિયે પડી ગયો. મુનાવરે તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વિડિયો રીલીઝ કર્યો અને ચોખવટ કરી. તેણે કહ્યું, ‘થોડા દિવસો પહેલા એક શોમાં દર્શકો સાથે વાત કરતી વખતે મેં કોંકણ પર એક ટિપ્પણી કરી હતી, જેને ગેરસમજ થઈ હતી. મેં કોંકણી સમુદાયની મજાક ઉડાવી નથી.

આ પણ વાંચો: નિરજ ચોપડા ભારત કેમ પરત ફર્યો નથી?

મુનાવર ફારૂકીએ વધુમાં ઉમેર્યું, ‘મારું કામ લોકોને હસાવવાનું છે અને કોઈને દુઃખ પહોંચાડવાનું નથી. જો મારી ટિપ્પણીઓથી કોઈને દુઃખ થયું હોય તો હું દિલથી માફી માંગવા માંગુ છું. તેણે મરાઠીમાં એક ટ્વિટમાં પણ લખ્યું, ‘હું કોંકણીઓને ખૂબ પ્રેમ કરું છું અને માફી માંગુ છું.’