May 12, 2024

ચેન્નઈ સુપર’કિંગ્સ’ પદેથી ધોની ‘રીટાયર્ડ’, ઋતુરાજ નવો ‘રાજા’

અમદાવાદ: MS ધોનીએ ચેન્નઈ સુપરકિંગ્સ ટીમની કેપ્ટનશિપ છોડી દીધી છે. હવેથી રુતુરાજ ગાયકવાડ IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમની કમાન સંભાળશે. આવતીકાલે IPL 2024ની શરૂઆત થવાની છે આ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયના કારણે MS ધોનીના ચાહકોને ઝટકો લાગ્યો છે.

માહીની કેપ્ટનશીપમાં CSKનું પ્રદર્શન શાનદાર
એમએસ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન અત્યાર સુધીમાં જોરદાર રહ્યું હતું. તેમની કેપ્ટનશીપમાં CSKએ પાંચ વખત IPL ટ્રોફી જીતી હતી. તમને જણાવી દઈએ કે ધોની 2008થી ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. ઋતુરાજની જો વાત કરવામાં આવે તો તેનું અત્યાર સુધીનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ રહ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રુતુરાજ ગાયકવાડનું પ્રદર્શન અત્યાર સુધી સારૂ રહ્યું છે. ગયા વર્ષમાં તેણે 16 મેચમાં 147ના સ્ટ્રાઈક રેટથી 590 રન બનાવ્યા હતા.

 

પહેલા પણ ફેરફાર
ચેન્નઈ સુપરકિંગ્સને પાંચ વખત ચેમ્પિયન બનાવનાર મહેન્દ્ર સિંહ ધોની આગામી સિઝનમાં ટીમનું નેતૃત્વ કરતા જોવા મળશે નહીં. જોકે આ પહેલી વાર નથી કે તે તેઓ આ જવાબદારીમાંથી નિકળી ગયા હોય. આ પહેલા IPL 2022માં પણ કેપ્ટનશિપમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવી દેવામાં આવ્યો હતો. જોકે કહેવામાં આવી રહ્યું હતું કે તે પોતાની જવાબદારી સારી રીતે સંભાળી શકતો ના હતો જેના કારણે તે સમયે હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જેના કારણે તેણે સીઝનની વચ્ચે જ ટીમ છોડી દીધી હતી અને રાજીનામું આપી દીધું હતું.