July 2, 2024

China-Pakistanનો સામનો કેવી રીતે કરીશું? જાણો વિદેશ મંત્રી Jaishankarનો પ્લાન

નવી દિલ્હીઃ એનડીએ સરકારમાં મંત્રીઓની શપથવિધિ અને વિભાગો સોંપી દેવામાં આવ્યા છે. ત્યારબાદ એસ જયશંકરે મંગળવારે વિદેશ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ દરમિયાન તેમણે વિદેશ નીતિના મોરચે સરકારની યોજનાઓ વિશે વાત કરી હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, ‘આજે વિશ્વમાં ઘણી ઉથલપાથલ છે, વિશ્વ શિબિરોમાં વહેંચાયેલું છે અને તણાવ અને સંઘર્ષ પણ વધી રહ્યો છે. આવા સમયમાં ભારતની ઓળખ એવા દેશની છે જેના પર વિશ્વાસ કરી શકાય, જેની પ્રતિષ્ઠા અને પ્રભાવ હોય.’

આગામી પાંચ વર્ષ માટે ચીન અને પાકિસ્તાન સાથેના સંબંધોના પ્રશ્ન પર એસ જયશંકરે કહ્યું કે, ‘કોઈ પણ દેશમાં કોઈ પણ સરકાર, ખાસ કરીને લોકશાહી માટે સતત ત્રીજી વખત ચૂંટાઈ આવે તે મોટી વાત છે. આનાથી દુનિયાને ખબર પડશે કે ભારતમાં રાજકીય સ્થિરતા છે… જ્યાં સુધી પાકિસ્તાન અને ચીનની વાત છે તો બંને દેશો સાથેના સંબંધો અલગ છે. તેથી સમસ્યાઓ પણ અલગ હશે. અમારો પ્રયાસ ચીન સાથે સરહદ વિવાદનો ઉકેલ શોધવાનો છે અને પાકિસ્તાન સાથે અમે સરહદ પારના આતંકવાદના મુદ્દાનો ઉકેલ શોધવા માગીએ છીએ.’

આ પણ વાંચોઃ 18મી જૂનથી લોકસભાનું પ્રથમ સત્ર; 10 વર્ષ બાદ સંસદમાં વિપક્ષ પ્રતિનિધિત્વ કરશે

વિદેશ મંત્રીએ કહ્યુ કે, ‘મારા માટે આ ખૂબ જ સન્માનની વાત છે કે, મને ફરી એકવાર વિદેશ મંત્રાલયનું નેતૃત્વ કરવાની તક આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયે ગત ટર્મમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. આપણે G20ની સફળતાપૂર્વક અધ્યક્ષતા કરી હતી. કોરોનાના પડકારનો સફળતાપૂર્વક સામનો કર્યો હતો. વેક્સિન મૈત્રી અંતર્ગત રસી પણ આપવામાં આવી હતી. ઓપરેશન ગંગા અને ઓપરેશન કાવેરી જેવા ઘણા મહત્વપૂર્ણ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યા હતા. છેલ્લા એક દાયકામાં પીએમ મોદીના નેતૃત્વમાં વિદેશ મંત્રાલય લોકો આધારિત બન્યું છે. તમે જોઈ શકો છો કે, અમારી પાસપોર્ટ સેવાઓમાં સુધારો થયો છે. આ સાથે જ અમે વિદેશમાં રહેતા ભારતીય સમાજના કલ્યાણ માટે પણ કામ કર્યું છે.’

ભારત ઘણાં સમયથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સમાવેશ કરવાની માગ કરી રહ્યું છે. જ્યારે વિદેશ મંત્રીને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યુ કે, ‘મને પૂરો વિશ્વાસ છે કે પીએમ મોદીના નેતૃત્વમાં વિદેશ નીતિ ઘણી સફળ થશે. અમારા માટે ભારતનો પ્રભાવ સતત વધી રહ્યો છે. વિશ્વના દેશોને લાગે છે કે, ભારત તેમનો મિત્ર છે અને તેઓ મુશ્કેલ સમયમાં આપણી તરફ જુએ છે. વૈશ્વિક દક્ષિણમાં જો કોઈ દેશ તેમના માટે ઉભો છે, તો તે ભારત છે. G20ના અમારા પ્રમુખપદ દરમિયાન અમને G20નું આફ્રિકન યુનિયનનું સભ્યપદ મળ્યું હતું. જેમ જેમ દુનિયાનો આપણામાં વિશ્વાસ વધી રહ્યો છે તેમ તેમ આપણી જવાબદારી પણ વધી રહી છે. અમને લાગે છે કે, પીએમ મોદીના નેતૃત્વમાં ભારતની ઓળખ ચોક્કસપણે વધશે.’