July 27, 2024

‘મેલોડી’ ઇફેક્ટ : ભારત-ઇટાલી વચ્ચેના કરારને કેબિનેટની મંજૂરી, હજારો ભારતીયોને ફાયદો

PM મોદી અને ઈટલી PM મેલોનીની સેલ્ફી થઈ રહી છે વાયરલ (ફાઇલ ફોટો)

મિલાનઃ ગુજરાત સહિત દેશભરમાં કેટલાક વર્ષોથી વિદેશ ભણવા માટે અને ત્યાં સ્થાયી થવાના ચલણમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં વિદેશ જઈને અભ્યાસ કરવાનું વિચારતા વિદ્યાર્થીઓ માટે સારા ખૂબજ સારા સમાચાર સામે આવ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે બુધવારે ભારત અને ઇટાલીની સરકારો વચ્ચે માઈગ્રેશન અને મોબિલિટી(Migration and Mobility Agreement) કરાર પર હસ્તાક્ષર કરવાના વિદેશ મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ કરાર મુજબ ઇટાલીમાં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યાં છે. જેમાં હવેથી ઇટાલીમાં અભ્યાસ બાદ પણ વિદ્યાર્થીઓ 1 વર્ષ સુધી ઇટાલીમાં રોકાઇ શકશે. ઉલ્લેખનીય છે કે આ કરારને કેન્દ્રીય કેબિનેટે વિદેશ મંત્રાયલના આ પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી છે. જેને કારણે ઇટાલીને કુશળ કામદારો મળશે સાથે સાથે ભારતીય નાગરિકોને રોજગારની તકો પણ મળશે.

આ કરારથી ભારતીયોને શું ફાયદો થશે
આ કરાર મુજબ ઈટાલિયન પક્ષે નોન-સિઝનલ ભારતીય વર્કર્સ માટે અનામત ક્વોટા વધારીને 12,000 કર્યો છે. ઇટાલીમાં ભારતીય વિદ્યાર્થીઓને અભ્યાસ પુરો ક્યાં પછી પણ એક વર્ષ સુધી અસ્થાયી નિવાસની મંજૂરી આપવામાં આવશે, જેના કારણે ઇટાલીમાં વિવિધ ક્ષેત્રોમાં અનુભવ મેળવવાની તક મળશે, બીજી બાજુ આ સિવાય કામદારો માટે અનામત ક્વોટા પણ નક્કી કરવામાં આવ્યા છે, જે નોન-સિઝનલ અને સિઝનલ કામદારોને વિવિધ ક્ષેત્રોમાં કામ કરવાની તક મળશે. આ પગલું ઇટાલીમાં કામદારોની અછતને દૂર કરવામાં મદદ કરશે અને સાથે સાથે ભારતીય કામદારોને વિદેશમાં વધુ સારી રોજગારીની તકો પણ પ્રદાન કરશે.

PM નરેન્દ્ર મોદી અને ઈટાલીના PM જ્યોર્જિયા મેલોની (ફાઇલ ફોટો)

ઉલ્લેખનીય છે કે થોડા દિવસથી ઈટાલી ચીન સાથે પોતાના સંબંધ મજબૂત કરી રહ્યું છે, તો બીજી બાજુ ભારત સાથે પણ પોતાના સંબંધો મજબૂત કરી રહ્યું છે. નોંધનીય છે કે ઈટાલીના વડાપ્રધાન પીએમ મોદીને ઘણી વખત મળ્યા છે. ભારત અને ઈટાલી વચ્ચેના વ્યવસાયને વધારવા માટે ઘણા કરારો પર કામ થઈ રહ્યું છે. ઈટાલીના આ વલણને ચીન માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. જો કે હાલમાં ચીન ઇટાલી મારફતે યુરોપમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યું હતું.