May 18, 2024

ભાજપે ગુજરાતમાંથી બે કેન્દ્રીય મંત્રીઓને રાજ્યસભામાં કેમ રિપીટ ન કર્યા?

BJP Gujarat Politics: 15 રાજ્યોમાં રાજ્યસભાની 56 બેઠકો માટેની ચૂંટણીમાં ભાજપે અનેક નેતાઓની ટિકિટો રદ કરી દીધી છે. ગુજરાતમાં પાર્ટીએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને કેન્દ્રીય મત્સ્યોદ્યોગ અને પશુધન મંત્રી પરષોત્તમ રૂપાલાને ત્રીજી વખત રાજ્યસભામાં મોકલ્યા નથી. બંને દિગ્ગજ નેતાઓ 2024ની લોકસભાની ચૂંટણી લડશે તેવી અટકળોએ હવે જોર પકડ્યું છે. માહિતી અનુસાર ભાજપના દિગ્ગજ નેતા પરષોત્તમ રૂપાલા રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડે કેવી સંભાવના છે. નોંધનીય છે કે પરષોત્તમ રૂપાલા હજુ સુધી લોકસભાના સભ્ય બન્યા નથી. તેવી જ રીતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ ભાવનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડે તેવી સંભાવના છે અને માંડવિયા પણ હજુ સુધી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા નથી. ઉલ્લેખનીય છે કે તેઓ 2002ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાવનગર જિલ્લાની પાલિતાણા બેઠક પરથી ચૂંટાયા હતા.

બંને અગ્રણીઓ પાટીદાર સમાજના
ભાજપના બંને નેતાઓ પાટીદાર સમાજમાંથી આવે છે. 69 વર્ષીય પરષોત્તમ રૂપાલા રાજકારણમાં આવ્યા પહેલા શિક્ષક હતા. ત્રણ વખત ધારાસભ્ય અને બે વખત રાજ્યસભાના સભ્ય અને કેન્દ્રીય મંત્રી બનેલા રૂપાલાએ રાજકારણમાં લાંબી ઇનિંગ્સ રમી છે. અગાઉ રુપાલા ગુજરાત ભાજપના પ્રમુખ પણ રહી ચુક્યા છે. રુપાલાની ગણતરી ભાજપના સારા કોમ્યુનિકેટરમાં થાય છે. તેમની બોલવાની શૈલી ઘણી સારી છે. ખાસ કરીને ગુજરાતી ભાષામાં રુપાલાને સાંભળવા લોકો આતુરતાથી આવે છે. માહિતી અનુસાર રુપાલા રાજકોટથી ચૂંટણી લડશે તેવી ચર્ચા છે. જો કે હાલ રાજકોટમાં ભાજપના મોહનભાઈ કુંડારિયા સાંસદ છે.

‘ભાવનગર ભાજપનો ગઢ’
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ભાવનગરથી ચૂંટણી લડે તેવી પ્રબળ શક્યતા છે. માંડવિયાને કેન્દ્રમાં ગુજરાતની સાથે સાથે કેન્દ્રમાં કામ કરવાનો અનુભવ છે. માંડવિયા 2015માં ગુજરાત ભાજપના સૌથી યુવા મહામંત્રી બન્યા હતા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)માંથી રાજકારણમાં પ્રવેશેલા માંડવિયા 38 વર્ષની વયે રાજ્યસભામાં ચૂંટાયા હતા. માંડવિયાની ગણતરી પીએમ મોદીની ગુડ બુકમાં થાય છે. ભાવનગર બેઠક ભાજપનો મજબૂત ગઢ છે અને હાલમાં ભારતીબેન શિયાળ ભાવનગરના સાંસદ છે. ભારતીબેન શિયાળ 2014માં પ્રથમ વખત ચૂંટાઈ આવ્યા હતા. ભાજપે 1991માં મહાવીરસિંહ ગોહિલ દ્વારા આ સીટ જીતી હતી, ત્યારબાદ પાર્ટીના દિગ્ગજ નેતા રાજેન્દ્ર સિંહ રાણા ભાવનગરથી પાંચ વખત જીત્યા હતા.

ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર ભાજપનો કબજો છે. રાજ્યની વર્તમાન સ્થિતિ પર નજર કરીએ તો તમામ બેઠકો પર ભાજપ મજબૂત સ્થિતિમાં છે. પાર્ટી 26 બેઠકો પર ચૂંટણી કરવાની યોજના ધરાવે છે જ્યાં જીતનું માર્જિન ઓછું હતું. હાલ મનસુખ માંડવિયા અને પરષોત્તમ રૂપાલા રાજકોટ અને ભાવનગરમાંથી ચૂંટણી લડશે તે નિશ્ચિત મનાય છે. અંતિમ નિર્ણય સંસદીય બોર્ડ દ્વારા લેવામાં આવે તેવી અપેક્ષા છે.