July 2, 2024

ભૂસ્ખલનથી પાપુઆ ન્યુ ગિનીમાં વિનાશ, 100થી વધુ લોકોનાં મોત

મેલબોર્ન: પાપુઆ ન્યુ ગિનીના એક ગામમાં ભૂસ્ખલનથી તબાહી મચી ગઈ છે. ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા 100 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ સાથે મોટું નુકસાન પણ થયું છે. ભૂસ્ખલનથી અનેક મકાનો ધરાશાયી થયા હોવાની વિગતો મળી રહી છે.

100 થી વધુ લોકોના મોત
એક મીડિયા રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે શુક્રવારે દૂરના પાપુઆ ન્યુ ગિનીમાં ભૂસ્ખલનમાં 100 થી વધુ લોકોના મોતની આશંકા છે. આ અહેવાલમાં જણાવ્યા અનુસાર દક્ષિણ પેસિફિક ટાપુ રાષ્ટ્રની રાજધાની પોર્ટ મોરેસ્બીથી લગભગ 600 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં એન્ગા પ્રાંતના કાઓકલામ ગામમાં ભૂસ્ખલન થયું હતું. જેના કારણે લોકોના મોત થયા છે. સવારે અંદાજે 3 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો. અહિંયા રહેતા સ્થાનિક લોકોનું કહેવું છે કે 100થી વધુ લોકોના મોત થઈ ગયા હોય શકે છે. જોકે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. જોકે સ્થાનિક મીડિયામાં આ માહિતીઓ સામે આવી રહી છે.

મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા
સ્થાનિક મીડિયામાં આપેલી માહિતી પ્રમાણે ઘણા ગામડાઓ સંપૂર્ણપણે નાશ પામ્યા છે. સ્થાનિક લોકો અને બચાવ કાર્યકર્તાઓ અહીંથી લોકોને બહાર કાઢવાનું કામ કરી રહ્યા છે. ભૂસ્ખલન પહેલા પાપુઆ ન્યુ ગિનીના ભૂકંપ આવ્યો હતો. જેમાં ફિન્શાફેનથી 39 કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં આવ્યો હતો તીવ્રતા 5.3 માપવામાં આવી હતી. ભારતીય સમય પ્રમાણે આ ભૂકંપ પાપુઆ ન્યુ ગિનીમાં ગુરુવારે સવારે 9.49 કલાકે આવ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેએ આ ભૂકંપની પુષ્ટિ કરી છે. જોકે આ ભૂકંપથી કોઈ નુકશાન થયું હોવાના કોઈ અહેવાલ નથી.