September 19, 2024

કેજરીવાલ લાલુ-રાબડી મોડલ પર, પત્નીને બનાવવા માગે છે CM: BJPનો આરોપ

BJP On Arvind Kejriwal: સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવતા જ દેશનું રાજકારણ ગરમાયું છે. પાર્ટી હેડક્વાર્ટરમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે સીએમ કેજરીવાલે મુખ્યમંત્રી પદ છોડવાની વાત કરી હતી. જેને લઇને ભાજપે પ્રહારો કર્યા. બીજેપી નેતા શહેઝાદ પૂનાવાલાએ આરોપ લગાવ્યો કે અરવિંદ કેજરીવાલ તેમની પત્ની સુનીતા કેજરીવાલને મુખ્યમંત્રી બનાવવા માંગે છે.

‘કેજરીવાલ ધારાસભ્યો પર દબાણ કરવા માગે છે’
ભાજપના નેતા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું, “મારા સૂત્રએ મને કહ્યું કે અરવિંદ કેજરીવાલે રાજીનામું આપવા માટે બે દિવસનો સમય માંગ્યો છે કારણ કે તેઓ તેમના ધારાસભ્યોને સુનિતા કેજરીવાલને આગામી મુખ્યમંત્રી તરીકે સ્વીકારવા માટે દબાણ કરવા માંગે છે.” બીજેપી નેતાએ X પર લખ્યું, લાલુ-રાબરી મોડલ, સોનિયા-મનમોહન મોડલની જેમ સંપૂર્ણ શક્તિ જોઇએ છે, પરંતુ જવાબદારી નહીં. તેમણે કહ્યું, “મારા ટ્વિટ અને નિવેદન પછી શક્ય છે કે આમ આદમી પાર્ટી પાછળ હટી જાય.” બીજેપી નેતાએ કહ્યું, “અરવિંદ કેજરીવાલે આપત્તિમાં તકો શોધવામાં પીએચડી કર્યું છે. તેઓ રાજીનામું આપવાનું નાટક કરી રહ્યા છે કારણ કે કોર્ટે તેમને એક્સાઈઝ પોલિસી કૌભાંડના કેસમાં નિર્દોષ છોડ્યા ન હતા, પરંતુ તેમને શરતી જામીન આપ્યા હતા, જેના કારણે તેઓ મુખ્યમંત્રીમાંથી માત્ર નામના મંત્રી બન્યા.

આ પણ વાંચો: રાહુલ ગાંધી દેશના નંબર-1 આતંકવાદી, તેમના પર ઈનામ હોવું જોઈએ: કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ

અરવિંદ કેજરીવાલે કેમ કહ્યું?
પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હું મુખ્યમંત્રીની ખુરશી પર ત્યારે જ બેસીશ જ્યારે લોકો મને ઈમાનદારીનું પ્રમાણપત્ર આપશે. હું જેલમાંથી બહાર આવ્યા બાદ અગ્નિપરીક્ષા આપવા માંગુ છું. ભાજપ પર તેમને ભ્રષ્ટ સાબિત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવતા કેજરીવાલે કહ્યું કે ભગવા પાર્ટી લોકોને સારી શાળાઓ અને મફત વીજળી આપી શકતી નથી કારણ કે તેઓ ભ્રષ્ટ છે. કેજરીવાલે કહ્યું કે આગામી થોડા દિવસોમાં આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્યોની બેઠક થશે અને પાર્ટીના એક નેતાને મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવશે. તેમણે કહ્યું કે દિલ્હીમાં ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાવાની છે, પરંતુ હું મહારાષ્ટ્રની સાથે નવેમ્બરમાં દિલ્હીમાં ચૂંટણી કરાવવાની માંગ કરું છું.