કંગના રનૌતની જાહેરાત, આ તારીખે રિલિઝ થશે ‘ઇમરજન્સી’

નવી દિલ્હીઃ બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ઇમરજન્સી’ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. છેલ્લા ઘણાં દિવસોથી ફેન્સ આ ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ હવે તેમની રાહ પૂરી થઈ ગઈ છે. સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ મળ્યા બાદ કંગના રનૌતે સોશિયલ મીડિયા દ્વારા ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરી છે. આ ફિલ્મ આ વર્ષે નહીં પરંતુ આવતા વર્ષે સિનેમાઘરોમાં આવશે.
View this post on Instagram
કંગના રનૌતે સોમવારે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મ ‘ઇમર્જન્સી’નું પોસ્ટર શેર કર્યું હતું. આ સાથે જ ફિલ્મની નવી રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. કંગનાની ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી લીલી ઝંડી મળી ગઈ છે અને હવે તે આવતા વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ‘ઇમરજન્સી’ના પોસ્ટરમાં ફિલ્મની લીડ સ્ટાર કાસ્ટ જોવા મળી રહી છે.
‘ઇમરજન્સી’ આ દિવસે રિલીઝ થશે
ફિલ્મ ‘ઇમરજન્સી’નું પોસ્ટર શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું કે, ‘દેશની સૌથી શક્તિશાળી મહિલાની મહાન વાર્તા અને તે ક્ષણ જેણે ભારતનું ભાગ્ય બદલી નાખ્યું. આના પર આધારિત ફિલ્મ ઈમરજન્સી 17 જાન્યુઆરી, 2025ના રોજ સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મ દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના જીવન પર આધારિત છે.’
કંગના રનૌતની ફિલ્મ વિવાદમાં આવી હતી
કંગના રનૌતની ‘ઇમરજન્સી’ ફિલ્મ અગાઉ 6 સપ્ટેમ્બર 2024ના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ, ઘણા શીખ જૂથોએ ફિલ્મ વિરુદ્ધ ફરિયાદો નોંધાવી હતી, જેના પછી તે વિવાદમાં ફસાઈ ગઈ હતી. ફરિયાદોમાં આરોપ છે કે, ફિલ્મમાં શીખ સમુદાયને ખોટી રીતે દર્શાવવામાં આવ્યો છે. ત્યારપછી સેન્સર બોર્ડે ફિલ્મની ફરીથી સમીક્ષા કરી અને લગભગ 13 કટ અને ઘણા ફેરફારો સૂચવ્યા હતા. U/A પ્રમાણપત્ર સાથે ‘ઇમરજન્સી’ પાસ કરવામાં આવી છે.