May 20, 2024

Junagadh: તરલ ભટ્ટના આગોતરા જામીન પર 6 ફેબ્રુઆરીએ સુનાવણી

જૂનાગઢ: જૂનાગઢ તોડકાંડ મામલે ATSની તપાસ તેજ બની છે. જેના પગલે પી.આઈ. તરલ ભટ્ટના અમદાવાદ સ્થિત ઘરે તપાસ એજન્સીઓના દરોડા પડ્યા છે. તરલ ભટ્ટ સહિતના આરોપીઓની શોધખોળ માટે ATS ની જુદી-જુદી ટીમો કાર્યરત થઈ છે. જોકે, તોડકાંડના કથિત આરોપી પૂર્વ PIએ આગોતરા જામીન અરજી કરી છે. તરલ ભટ્ટે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી કરી છે.

અરજીમાં તરલ ભટ્ટે જણાવ્યુ છે કે, આ કેસમાં પોતાને ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે. આ સાથે આગોતરા જામીન અરજીમાં પોતાને બદનામ કરવાનું કાવતરું હોવાનું પણ ઉલ્લેખ છે. હાલ તરલ ભટ્ટ, પીઆઈ ગોહેલ અને દિપક જાની ફરાર છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢ તોડકાંડની ફરિયાદ પીઆઇ તરલ ભટ્ટ, SOG પીઆઇ એ.એમ.ગોહિલ અને ASI દિપક જાની વિરુદ્ધ 26મી જાન્યુઆરીના રોજ નોંધવામાં આવી હતી.

ATS ની તપાસમાં સીસીટીવી સામે આવ્યા

આ સિવાય તોડકાંડ મામલે મોટો ખુલાસો થયો છે. જેમા ATSની તપાસમાં સીસીટીવી સામે આવ્યા છે. તેમજ ફરાર પીઆઈ તરલ ભટ્ટના ઘરે તપાસના સીસીટીવી પણ સામે આવ્યા છે. નોંધનીય છે કે ATSની ટીમ અંદાજીત 1 કલાક 30 મીનીટ રોકાઈ હતી. તેમજ તરલ ભટ્ટના પરિવારની પુછપરછ કરી હતી. તરલ ભટ્ટના ઘરની તથા બેંક એકાઉન્ટની માહિતી પણ મેળવી છે. તો જુનાગઢના ASI દિપક જાનીની ગુજરાત ATS ધરપકડ કરી શકે છે. તરલ ભટ્ટની આગોતરા જામીન અરજી પર સુનાવણી 6 ફેબ્રુઆરીએ થશે.

શું છે સમગ્ર મામલો?

અમદાવાદના માધુપુરામાં 2500 કરોડના ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ થયો હતો. સટ્ટા માટે 1,000થી વધુ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરાયો હતો. ત્યારે આ કેસની તપાસમાં તરલ ભટ્ટે તમામ બેંક એકાઉન્ટની માહિતી મેળવી હોવાનું સામે આવ્યુ છે. કેસની તપાસ ટ્રાન્સફર થયા બાદ પણ તરલ ભટ્ટે માહિતી છૂપાવી હોવાનું પણ ખુલ્યુ છે. PCB દ્વારા SMCને 535 બેન્ક એકાઉન્ટની જ વિગતો આપવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે જુનાગઢ બદલી બાદ તરલ ભટ્ટે પેન ડ્રાઈવમાં સટ્ટાકાંડના 1,000 બેંક ખાતાંની વિગતો સાચવી રાખી હતી.

તે ઉપરાંત જુનાગઢમાંથી ફ્રીઝ થયેલા એકાઉન્ટ ક્રિકેટ સટ્ટા કેસના હોવાનું અનુમાન છે. સાઈબર એક્સપર્ટ તરીકે ઓળખ આપી ખાતાં અનફ્રીઝ કરવા તેણે રુપિયા માગ્યા હતા. એકાઉન્ટ અનફ્રીઝ કરવા બેંક બેલેન્સના 80 ટકા રકમની માગણી કરી હતી. બેન્ક દ્વારા ATSને ફ્રીઝ થયેલા એકાઉન્ટની માહિતી આપ્યા બાદ વધુ ખુલાસા થશે.